Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

કરવેરાના નાણાંથી ભરેલી તિજોરીને કોઈનો પંજો ના પડે તેની ચોકીદારી વડાપ્રધાન મોદી કરે છે એટલે ચોરોને ગમતા નથી :વિજયભાઈ રૂપાણી

પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર રમેશભાઇ ધડુકના સમર્થનમાં ઉપલેટામાં વિશાળ જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રી રૂપાણી

 

ઉપલેટા :પ્રજાના પરસેવાની કમાણીના કરવેરાના નાણાંથી ભરેલી તિજોરી ઉપર કોઇ લુંટારાઓ તેમનો કાળો પંજો પાડી, લૂંટી ના જાય તેની ચોકીદારી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કરી રહ્યાં છે તેથી ચોરોને ગમતાં નથી તેમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું

  દેશભરમાં ચાલી રહેલ લોકતંત્રના મહોત્સવમાં કોંગ્રેસ દ્વારા જુઠ્ઠાણાઓ અને વાયદાઓ મારફતે દેશની ભોળી જનતાને છેતરી યેનકેન પ્રકારે સત્તા હાંસલ કરવાનાં નિરર્થક પ્રયાસો કરી રહી છે  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશમાં અને વિદેશોમાં સર્વ સ્વિકૃત નેતા છે તેમ જણાવી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યું હતું કે દેશમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઇ મોદી સત્તારૂઢ થયાં બાદ તેઓની કુશળ કુટનીતી, દીર્ઘદ્રષ્ટિ, સબળ અને સક્ષમ નેતૃત્વના કારણે વિદેશી મૂડી રોકાણમાં ખૂબ મોટો વધારો થયો છે

 રાજ્યના મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર  રમેશભાઇ ધડુકના સમર્થનમાં ઉપલેટા ખાતે એક વિશાળ જનમેદનીને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ચૂંટણી ચોકીદાર સામે ચોરોની ચૂંટણી છે. દિલ્હીમાં પ્રજાની પરસેવાની કમાણીના કરવેરાના નાણાંથી ભરેલી તિજોરી ઉપર કોઇ લુંટારાઓ તેમનો કાળો પંજો પાડી, લૂંટી ના જાય એટલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ચોરોને ગમતાં નથી. ૨૦૧૪ પહેલાંની સરકાર અને તેમના સમર્થક ઠગબંધનોની તેમજ તેમના મળતીયાઓની દુકાનો બંધ થઇ ગઇ છે, ત્યારે દેશના ખૂણે ખૂણે જઇ મોદી હટાવો.... મોદી હટાવો.... ના નારા લગાવી રહ્યાં છે. લોકો જાણે છે કે, જો શ્રી નરેન્દ્રભાઇ મોદી હજુ બીજા પાંચ વર્ષ સત્તામાં રહેશે તો, આપણે સૌ જેલભેગા થવું પડશે

શ્રી રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, પહેલાં કોંગ્રેસના કુશાસન દરમ્યાન કેન્દ્ર સરકારમાંથી પ્રજાકલ્યાણ માટે નીકળતા રૂપિયામાંથી સરકારના વચેટીયાઓ અને દલાલો ૮૫ પૈસા ખાઇ જતાં હતાં, અને ગરીબો અને જરૂરીયાત મંદોને માત્ર ૧૫ પૈસા મળતાં હતાં. કોંગ્રેસ પોતાની જુની થિયરીને અનુસરવા માટે લોકતંત્રના મહોત્સવમાં કોંગ્રેસ અને તેના સમર્થક ઠગબંધનોને મોદી સરકારની કામગીરી પસંદ નથી આવતી. દેશભરમાં ચાલી રહેલ લોકતંત્રના મહોત્સવમાં કોંગ્રેસ દ્વારા જુઠ્ઠાણાઓ અને વાયદાઓ મારફતે દેશની ભોળી જનતાને છેતરી યેનકેન પ્રકારે સત્તા હાંસલ કરવાનાં નિરર્થક પ્રયાસો કરી રહી છે, પરંતુ દેશ અને ગુજરાતની જનતા શાણી અને સમજુ છે. તેઓને કેન્દ્ર અને રાજ્યની સરકારો દ્વારા વિકાસ કાર્યો અને જનતા માટે લાગુ કરવામાં આવેલ વિવિધ અસરકારક યોજનાઓ થકી તેઓને મળેલ લાભોને જોઇ, સ્પષ્ટ જનાદેશ આપી રાષ્ટ્રભક્ત નરેન્દ્રભાઇ મોદીને ફરી એકવાર વડાપ્રધાન પદે બેસાડવાનો નિર્ણય કરી લીધો છે

શ્રી રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દેશમાં અને વિદેશોમાં સર્વ સ્વિકૃત નેતા છે. પહેલાંની ભ્રષ્ટ સરકારોના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબી ખરડાયેલી હતી, અને તેના કારણે વિદેશોનું મૂડી રોકાણ ભારતમાં આવતું હતું, પરિણામે દુનિયાના શક્તિશાળી દેશો જે કહેતાં તે ભારતે કરવું પડતું, જ્યારે આજે તેનાથી વિપરીત પરિસ્થિતી છે. દેશમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઇ મોદી સત્તારૂઢ થયાં બાદ તેઓની કુશળ કુટનીતી, દીર્ઘદ્રષ્ટિ, સબળ અને સક્ષમ નેતૃત્વના કારણે વિદેશી મૂડી રોકાણમાં ખૂબ મોટો વધારો થયો છે.

   દેશમાં વિવિધ ક્ષેત્રે રોજગારીની નવી તકોનું નિર્માણ થયું, નવી ટેકનોલોજીનો વિકાસ થયો, દેશ આર્થિક રીતે સમૃધ્ધ બન્યો. તમામ વિકાસલક્ષી પગલાંઓથી આકર્ષાઇને દુનિયાના શક્તિશાળી દેશો ભારત તરફ આકર્ષિત થયા અને ભારતના વિપરીત સંજોગોમાં પણ એકજુટ થઇ દેશની પડખે ઉભા રહ્યાં છે. બધુ નરેન્દ્રભાઇ મોદીના કારણે શક્ય બન્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સબળ અને સક્ષમ નેતૃત્વ હેઠળ આર્થિક સમૃધ્ધિ, સુરક્ષા, સફળ વિદેશનીતિની સાથોસાથ અંતરીક્ષ ક્ષેત્રમાં પણ વિશિષ્ટ સિધ્ધી હાંસલ કરી છે

શ્રી રૂપાણીએ અંતમાં જણાવ્યું હતું કે નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે ગુજરાતના અવિરત વિકાસ યાત્રા થકી ગુજરાતની છબી દેશમાં એક સમૃધ્ધ રાજ્ય તરીકે ઉપસાવી ગુજરાતને દેશમાં એક રોલ મોડલ તરીકે સ્થાપિત કર્યો હતો. અને હવે ૨૦૧૪ પછી દેશના સબળ અને સક્ષમ વડાપ્રધાન તરીકે દેશમાં તેજ ગતિથી થઇ રહેલાં વિકાસના કારણે દેશની જનતા અને વિદેશોમાં વસતાં ભારતીયો અને વિદેશી નાગરિકો પણ ભારત દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઇ મોદીને જોવા ઇચ્છુક છે, ત્યારે ગુજરાતમાં યોજાનાર ત્રીજા તબક્કાની ચૂંટણીમાં પોરબંદર લોકસભા બેઠક પરથી  રમેશભાઇ ધડુકને દિલ્હી મોકલવા આહવાન કર્યુ હતું

   વિજયભાઈ રૂપાણીની ઉપલેટા ખાતેની જનસભામાં પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર રમેશભાઇ ધડુક, લોકસભા ચૂંટણીના પ્રભારી, ઇન્ચાર્જ, ધારાસભ્યઓ, પૂર્વ ધારાસભ્યઓ, જીલ્લા સંગઠનના હોદેદારો અને વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં

 

(12:01 am IST)