Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

પોરબંદરના સુદામા ચોકમાં સાંજે વિજયભાઇ રૂપાણીની જાહેર સભા

ખારવા સમાજ દ્વારા મુખ્યમંત્રીના સ્વાગત માટે રેલીનું આયોજનઃ બોટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ તથા ખારવા સમાજના કેટલાંક આગેવાનો કેસરિયો ખેસ ધારણ કરે તેવી સંભાવના

પોરબંદર તા.૧૫: પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર રમેશભાઇ ધડુકના સમર્થનમાં સુદામા ચોકમાં સાંજે ૭ વાગ્યે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની જાહેર સભા યોજાનાર છે.

ખારવા સમાજ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇનું સ્વાગત કરવા રેલીનું આયોજન કરેલ છે.

પોરબંદરમાં મુખ્યમંત્રીના આગમન દરમિયાન બોટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ તેમજ ખારવા જ્ઞાતિના પંચ પટેલોમાંથી કેટલાંક આગેવાનો સહિત કેસરિયો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાય તેવી સંભાવના અંગે ચર્ચા ઉઠી છે.

અગાઉ પોરબંદરથી ૧૩ કિ.મી. દૂર કુછડીમાં નવું બંદર બનાવવા સામે ખારવા સમાજે વિરોધ દર્શાવ્યો હતો અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને ખારવા સમાજના આગેવાનોએ રૂબરૂ રજુઆત કરી હતી ત્યારપછી મૂખ્યમંત્રીએ ખારવા સમાજ દ્વારા લકડી બંદર સહિત જે જગ્યા દર્શાવે ત્યાં નવું બંદર બનાવવા ખાતરી આપી હતી તેથી ખારવા સમાજમાં ખુશી વ્યાપી ગયેલ. ખારવા સમાજ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

(12:08 pm IST)