Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ધોરાજી નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ-ચીફ ઓફીસર-કોન્ટ્રાકટર સામે કોર્ટમાં ફરિયાદ

રોડનાં ખાડાને કારણે ર૦૧૭ માં સર્જાયેલ અકસ્માતમાં મોતની ઘટનામાં તંત્રની બેદરકારી અંગેઃ ૬ સપ્ટેમ્બર ર૦૧૭ ના રોજ રસ્તાનાં ખાડામાં પડી જતા નાનજીભાઇ વસ્તપરાનું મોત થયેલ

ધોરાજી તા. ૧૧ :... રોડ-રસ્તાના ખાડામાં અકસ્માતમાં  મોત અંગે અહીંના નગરપાલીકાનાં પૂર્વ પ્રમુખ ત્થા ચીફ ઓફીસર અને કોન્ટ્રાકટર વિરૂધ્ધ કોર્ટમાં ફરીયાદ થતાં ખળભળાટ મચી ગયો છે.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ધોરાજી શહેરમાં છેલ્લા ચાર-પાંચ વર્ષથી ભુગર્ભ ગટર યોજનાના ઓઠા હેઠળ શહેરમાં લગભગ તમામ રોડ-રસ્તા ખોદી નાખવામાં આવેલા હતા અને ધોરાજી શહેર પ્રત્યે રાજકીય નેતાઓ, અધિકારીઓ, કોન્ટ્રાકટરો બધા ઓરમાયુ વર્તન રાખતા હતા જે અંગે ઘણા જાગૃત નાગરીકોએ અદાલતમાં રાવ-ફરીયાદ વિગેરે કરેલ પરંતુ જાડી ચામડીના સત્તાધીશો, અધિકારીઓ પોતાના મનમાં આવે તે રીતે કામગીરી કરતા  હતા જેથી ધોરાજીના તમામ રોડ રસ્તા એકદમ ખરાબ, અને વારંવાર અકસ્માતો થાય તેવા થઇ ગયેલા.આ અંગે ધોરાજીના એડવોકેટ ચંદુભાઇ પટેલે સત્તાધીશો સામે કાનુની લડત ચાલુ કરેલ અને સરકારશ્રીએ પણ જે તે સમયમાં સત્તાધીશોની અને કોન્ટ્રાકટરોની બેદરકારી, નિષ્કાળજી ધ્યાને લઇ ધોરાજી નગરપાલીકાને સુપર સીડ કરેલ હતી.આ લડત દરમ્યાન ગત તા. ૬-૯-ર૦૧૭ ના રોજ નાનજીભાઇ કુરજીભાઇ વસ્તપરા નામનો ધોરાજીનો નાગરીક સવારમાં પોતાની રોજી-રોટી કમાવા માટે જમનાવડ રોડ પર મોટર સાયકલ લઇને નીકળેલ અને તંત્રની ઘોર બેદરકારી અને ધો. ન. પા.ના તત્કાલીન પ્રમુખ, ચીફ ઓફીસર તથા પી.ડબલ્યુ.ડી.ના અધિકારી, તથા તેના કોન્ટ્રાકટરો તથા ભુગર્ભ ગટરના કોન્ટ્રાકટરોની લાપરવાહી અને ઘોર ઉપેક્ષા અને બેજવાબદારીને લઇને જે તેમની ફરજમાં હોવા છતાં રોડ-રસ્તા પ્રત્યેની  બેદરકારીથી રસ્તામાં મોટા-મોટા ખાડા પડી ગયેલ અને કમનસીબે નાનજીભાઇનું મોટર સાયકલ તે ખાડાને લઇને સ્લીપ થતા નાનજીભાઇને પડી જતા માથામાં ગંભીર ઇજા થતા જવાબદારોની બેદરકારીને લઇને તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજેલ.જે અંગેની ફરીયાદ નાનજીભાઇના ભાઇ કિશોરભાઇ વસ્તપરાએ ગત તા. ૧૦-૯-ર૦૧૭ ના ધોરાજી પો. સ્ટેશનમાં લેખીત ફરીયાદ આપેલ પરંતુ પોલીસે આંખ આડા કાન કરી કોઇ કાર્યવાહી ન કરતા કિશોરભાઇએ ધોરાજીના એડવોકેટ ચંદુભાઇ પટેલ મારફત ધોરાજી કોર્ટમાં ગઇ તા. ૧૦-૧-૧૯ ના રોજ ફરીયાદ આપેલ છે અને કોર્ટ દ્વારા પોલીસે તેમને આપેલ ફરીયાદમાં શું કાર્યવાહી કરી તેની રીપોર્ટ મંગાવવાનો હુકમ ફરમાવતા બેદરકાર તત્વોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે. આ કેસમાં આરોપી પક્ષે તત્કાલીન પ્રમુખ કે. પી. માવાણી, ચીફ ઓફીસર શ્રી દવે તથા તત્કાલીન પી. ડબલ્યુ. ડી.ના અધિકારીઓ કોન્ટ્રાકટરો, ભુગર્ભ ગટરના તત્કાલીન કોન્ટ્રાકટરો વિગેરે છે.  (પ-૧પ)

(11:59 am IST)