Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

સોમનાથના આકર્ષણમાં વધુ એક સુવિધા યાત્રીપથનું નિર્માણ કરાશે

યાત્રી પથ પર યાત્રાળુઓને મળશે ભકિતમય સંગીતની સુરાવલીઓનો સાથ

પ્રભાસપાટણ, તા.૬: ભારત સરકારના ટુરીઝમ મંત્રાલય દ્રારા પ્રસાદ સ્કીમ અંતર્ગત સોમનાથનાં સાનિધ્યમાં વધુ એક આકર્ષણ ઉમેરાશે. રૂ. ૪૫ કરોડના ખર્ચે મંદિરના દક્ષિણ ભાગમાં સાગર કિનારે ૧૫૦૦ મીટર લાંબો અને ૭ મીટર પહોળા યાત્રિપથનું નિર્માણ થશે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમીતભાઈ શાહ આ યાત્રિપથનું તા.૬-૧૨-૧૮નાં રોજ સવારે ૧૦-૩૦ કલાકે ભૂમિપુજન કરશે.

સાગરદર્શનથી શરૂ થઈને ત્રિવેણી સંગમ સુધી નિર્માણ થનાર યાત્રિપથમાં યાત્રીકોને સુંદર બેઠક વ્યવસ્થા સાથે ભકિતમય સંગીતની સુરાવલીઓનો પણ લાભ લઈ શકશે. સમૃદ્ર સાથે સોમનાથના સૌદર્યને નિહાળવા આધુનિક લાઈટીંગ વ્યવસ્થા પણ રાખવામાં આવશે.

આ યાત્રિપથથી યાત્રાળુઓ માટે સોમનાથ મુલાકાત એક યાદગાર સંભારણુ બની રહેશે. યાત્રિપથ ધાર્મિક, આર્થિક તેમજ દાર્શનીક અનુભુતિનુ ત્રિવેણી સંગમ સ્થળ બનશે. આ પ્રસંગે સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા, શ્રી ચુનીભાઈ ગોહેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૈયાબેન જાલોંધરા, ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, પ્રવાસન નિગમના ડિરેકટરશ્રી ઝવેરીભાઈ ઠકરાર, પુર્વમંત્રીશ્રી જશાભાઈ બારડ, બીજ નિગમના ચેરમેનશ્રી રાજશીભાઈ જોટવા ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં સહભાગી થવા ગુજરાત પ્રવાસન નિગમના મેનેજીંગ ડિરેકટરશ્રી જેનુ દિવાન અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરીશ્રી પ્રવિણભાઈ લહેરીની યાદીમાં જણાવાયું છે.આ કાર્યક્રમને સફળ બનાનવવા સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરશ્રી વિજયસિંહ ચાવડા તથા ટ્રસ્ટના કર્મચારીઓ જહેમત ઉઠાવી રહયા છે.

પ્રભાસ-પાટણ ખાતે તા. ૭ ના રોજ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

ગીર સોમનાથ વેરાવળ-પાટણ સંયુકત નગરપાલીકા તા.૭-૧૨-૧૮ના રોજ સવારે ૯ કલાકે સરકારી કન્યાશાળા, દુધપીઠ, ડો.સાવલીયાની સામે, પ્રભાસ-પાટણ ખાતે ચોથા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. શહેરી કક્ષાના સેવા સેતુ કાર્યક્રમમાં વોર્ડ નં. ૨, ૩ અને ૪ના નાગરીકોના વ્યકિતલક્ષી પ્રશ્ર્નોનો સ્થળ પર નિકાલ કરવામાં આવશે. તેમ વેરાવળ-પાટણ સંયુકત નગરપાલીકાની યાદીમાં જણાવાયું છે.(૨૩.૩)

(12:34 pm IST)