Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

પત્નીની હત્યા કેસમાં પતિ સહિત તમામને શંકાનો લાભ આપી છોડી મુકતી જામનગરની સેસન્સ કોર્ટ

 જામનગર તા.૧૧: ફરિયાદી રામારામ ઉષારામ ગાડીયા કે જેઓ રાજસ્થાનમાં બાડમેર જિલ્લામાં રહેતા હોય તેની પુત્રી ગુડ્ડીના લગ્ન રાજસ્થાનના બાડમેર જિલ્લાના ધોરીમના તાલુકાના મિઠડા ગામમાં રહેતા ભીયારામ મખનરામ લુહાર સાથે ૨૦૧૦માં થયેલા અને લગ્ન બાદ ગુડ્ડી તેના સાસરીયામાં તેની દેરાણી સાસુ, સસરા વિગેરે સાથે રહતેી હતી અને લગ્ન બાદ આરોપી ભીયારામ અને ગુડ્ડી વચ્ચે અણબનાવ થતા બાડમેર જિલ્લાના રામસર તાલુકાના પંચાયતના આગેવાનોની હાજરીમાં ગુ.ગુડ્ડીને તેના પતિ ભીયારામ મખનરામ લુહાર તેડી ગયેલ અને ખાત્રી આપેલ કે, હવે ગુડ્ડીને દુઃખત્રાસ નહીં આપી ત્યારબાદ ફરીથી ગુડ્ડી સાથે આરોપી ભીયારામને અણબનાવ થતા ગુડ્ડી તેના પિતાના ઘેર ફરીથી ચાલી ગયેલ. અને ગુડ્ડીને હવેથી દુઃખ ત્રાસ નહીં આપે તેવી ફરીથી તેના સસરા મખનરામ દ્વારા ગુડ્ડીના પિતા રામારામને પંચાયતના સભ્ય તથા ગામના આગેવાનોની હાજરીમાં તેડી ગયેલ.

ત્યારબાદ આરોપી ભીયારામ મખનરામ લુહાર તેની પત્ની ગુડ્ડી સાથે જામનગર મુકામે રણજીતસાગર રોડ ઉપર રહેવા આવેલ અને ત્યાં તેના સગા મામા નડપતરામ મોહબતરામ લુહાર કે જેઓ જામનગરમાં રહેતા હોય તેને ત્યાં રહેવા આવેલ અને તેને ત્યાં આરોપી ભીયારામ મખનલાલ લુહાર તેના મામા નડપતરામ મોહબતરામ લુહાર તથા બંસીલાલ બેચરરામ લુહાર આ બધા સાથે રહેતા હતા. ત્યારબાદ ગુજ. ગુડ્ડીએ  તેના પિતા રામારામ કુસારામને ફોન કરી જાણ કરેલ કે, આ લોકો મને દુઃખ ત્રાસ આપે છે અને મારી નાખશે તેવી વાત કરતા રામારામ કુસારામ તેની દીકરીને મળવા બાડમેરથી રવાના થયેલ તે દરમ્યાન તા.૧૩-૨-૨૦૧૩ના રોજ આરોપી ભીયારામ મખનરામ લુહાર તથા નડપતરામ મહોબતરામ લુહાર તથા બંસીલાલ બેચરરામ લુહાર આ ત્રણેય જણાઓએ ભેગા થઇ તેના ઘરમાં ગુડ્ડીને જીવતી સળગાવી ચાલ્યા ગયેલ અને આજુબાજુ વાળાઓએ ભેગા થઇ આ ગુડ્ડીને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લાવેલ. અને તે દરમ્યાન ફરીયાદી રામારામ કુસારામ ગાડીયા તથા તેના સગાવ્હાલાઓ અને બાડમેરના સરપંચ વિગેરે જામનગર આવી ગયેલ. અને સારવાર દરમ્યાન ગુડ્ડીનું મુત્યુ નિપજેલ અને તેને આ બનાવની જાણ થતાં તેને જામનગર સીટી 'એ' ડિવીઝન પો.સ્ટે.માં તેની દીકરી ગુડ્ડીને તેના પતિ ભીયારામ મખનરામ લુહાર તથા નડપતરામ મહોબતરામ લુહાર તથા બંસીલાલ બેચરરામ લુહારએ સળગાવી અને ચાલ્યા ગયેલ છે. તેવી ફરીયાદ લખાવેલ. આ ફરીયાદ જામનગર સીટી 'એ' ડિવીઝન પો.સ્ટે.માં ઇ.પી.કો. કલમ ૩૦૨ વિગેરે મુજબનો ગુનોં નોંધેલ અને આના આધારે આરોપી ભીયારામ મખનરામ લુહાર તથા નડપતરામ મોહબતરામ લુહાર તથા બંસીલાલ બેચરરામ લુહારની ધરપકડ કરેલ. અને પોલીસે આ કેસમાં બનાવવાળી જગ્યાએથી કેરોસીનનું ડબલું તથા પ્રાઇમસ વિગેરે કબ્જે કરેલ. અને આજુબાજુવાળાઓના નિવેદનો નોંધેલ. અને આ કેસમાં આરોપીઓ સામે પુરાવો જણાતા ચાર્જશીટ કરેલ.

આ કેસ જામનગરના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ શ્રી ડી.એમ. વ્યાસ સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપીઓ સામે પ્રોશીકયુશન શંકા રહીત કેસ સાબીત કરવામાં નિષ્ફળ ગયેલ હોય તેમ માની તમામ આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કેસમાં આરોપીઓ તરફે વકીલ તરીકે મનોજ અનડકટ તથા રાજેશ અનડકટ, હેત અનડકટ, કલ્પેશ દાવડા, નિર્મળસિંહ જાડેજા તથા મીહીર મહેતા તથા જીગર આચાર્ય રોકાયેલ હતા.(૧.૫)

(10:28 am IST)