Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

ભાવનગરમાં આગામી ૧૦ દિવસો સાવચેતીની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણઃ લોકો જાગૃત બને અને સામે ચાલી કોરોના ટેસ્ટ કરાવે તે માટે અપીલ

ભાવનગર તા. ૨૦ : જિલ્લાના તમામ જનસેવા કેન્દ્રો ખાતે આવતા અરજદારોના ફરજિયાત કોરોના ટેસ્ટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. જયાં આવતા તમામ અરજદારોના આજરોજ ફરજિયાત કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.સાથે સાથે જિલ્લા કલેકટરશ્રીની સૂચના અન્વયે આવતીકાલથી જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા પંચાયત, ભાવનગર મહાનગરપાલિકા તથા એસ.પી.ઓફિસમાં આવતા અરજદારોના પણ ફરજિયાત કોવિડ ટેસ્ટ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. આ સાથે મુખ્ય કચેરીઓ તેમજ શહેરની મુખ્ય બજારો તથા જિલ્લાની તમામ નગરપાલિકાઓ ખાતે પણ આવતીકાલથી તંત્ર દ્વારા કોરોના ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

આ અંગે જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે તહેવારોના કારણે લોકોનો પરસ્પર સંપર્ક વધ્યો હોય તે સ્વાભાવિક છે જેના કારણે કોરોના કેસોની સંખ્યામાં પણ વધારો થવાની શકયતાને નકારી શકાય નહીં તેથી આગામી ૧૦ દિવસો સાવચેતીની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેમજ આ સમયગાળામાં કોરોના સંક્રમણને અટકાવવા નાગરિકોના વધુમાં વધુ કોરોના ટેસ્ટ થાય તે પણ ખૂબ જ જરૂરી છે.જેથી આવતીકાલથી જિલ્લાની કલેકટર કચેરી, જિલ્લા પંચાયત, ભાવનગર મહાનગરપાલિકા તેમજ એસ.પી.કચેરી તેમજ જિલ્લાની તમામ નગરપાલિકાઓ સહિતની કચેરીઓ કે જયાં લોકો બહોળા પ્રમાણમાં મુલાકાતે આવતા હોય ત્યાં અરજદારોના ફરજિયાત કોવિડ ટેસ્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.જે માટેની તમામ તૈયારીઓ લગત કચેરીઓ ખાતે પૂર્ણ કરી દેવાઈ છે અને જરૂરી મેડિકલ સ્ટાફ સાથેની ટીમો દરેક કચેરીઓ ખાતે ફાળવી દેવાઈ છે.સાથે સાથે શહેરની પીરછલ્લા, મેઈન બજાર સહિતની મુખ્ય બજારો કે જયાં લોકોની અવર જવર વધુ રહે છે ત્યાં પણ તંત્ર દ્વારા આકસ્મિક કોરોના ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવશે અને માસ્ક નહીં પહેરેલા લોકો વિરુદ્ઘ દંડનીય કાર્યવાહી હાથ ધરાશે.

નાગરિકોને અપીલ કરતા વધુમાં જણાવ્યું હતું કે જિલ્લામાં કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા લોકો સ્વયં જાગૃત બની સામે ચાલી કોરોના ટેસ્ટ કરાવવા આગળ આવે અને કોવિડની માર્ગદર્શિકાની ચુસ્તપણે પાલન કરી ભાવનગર જિલ્લાને કોરોનામુકત કરવા તંત્રને પોતાનો ઉચિત સહયોગ આપે તે ખૂબ જ જરૂરી છે.

(10:18 am IST)