Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલની જિલ્લાના પુરગ્રસ્ત ૧૯ ગામોની મેરેથોન મુલાકાત

જામનગર તા.૨૦: કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે પદગ્રહણના બીજા જ દિવસે જામનગર જિલ્લાના ૧૯ પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લઇ લોકોની રજૂઆતો તથા પ્રશ્નો સાંભળ્યા હતા તેમજ દરેક અસરગ્રસ્તને રાજય સરકાર તરફથી યોગ્ય વળતર ચૂકવવાની ખાતરી આપી હતી.

મંત્રીશ્રીએ જામનગર, ધ્રોલ તથા કાલાવડ તાલુકાના રામપર, મોટી બાણુગર, ખીમરાણા, બાળા, નેવી મોડા, અલીયા, મોડા, બેરાજા, પસાયા, સપડા, ધુતારપર, ધુડશીયા, કાલાવડ, ખંઢેરા, બાંગા, કૃષ્ણપુર, વાગડિયા, નાઘુના તથા કૌંજ ગામની મુલાકાત લીધી હતી અને લોકોની રજૂઆતો પરત્વે પ્રત્યુતર પાઠવતા જણાવ્યું હતું કે સતાના માધ્યમથી ખેડૂતો તથા અસરગ્રસ્તોના પ્રશ્નોને વાચા તેમજ યોગ્ય ન્યાય આપવા પૂરતો પ્રયત્ન કરાશે. પૂર વખતે પણ રાજય સરકારે હેલિકોપ્ટર, એન.ડી.આર.એફ. તથા એસ.ડી.આર.એફ. સહિતની તમામ મદદ પૂરી પાડી હતી ત્યારે હવે પુર બાદની સ્થિતિમાં પણ સરકાર લોકોની પડખે ઉભી છે અને મહત્ત્।મ લાભો લોકો સુધી પહોંચે તે મુજબનું આયોજન કરી રહી છે.

મંત્રીશ્રીએ ગામોની મુલાકાત વેળાએ પાક ધોવાણ, પશુ મૃત્યુ સહાય, જમીન ધોવાણ સહીતની સહાયના ધોરણોમાં ધરખમ વધારો કર્યો છે જેની વિગતવાર જાણ ખૂબ જ ટૂંક સમયમાં સરકાર દ્વારા લોકોને કરાશે તેવી જાહેરાત પણ કરી હતી તેમજ પાક નુકસાની, જમીન ધોવાણ, પશુ મૃત્યુ તથા દ્યર વખરી અંગેની નોંધ કરાવવા પણ લોકોને આગ્રહ ભરી વિનંતી કરી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી રમેશભાઈ મુંગરા, ભરતભાઈ બોરસદીયા, પૂર્વ ધારાસભ્ય વલ્લભભાઈ ધારવીયા, જિલ્લા ભાજપ મંત્રીશ્રી કુમારપાલસિંહ, ભરતભાઈ મોદી, ખેતીવાડી નિયામકશ્રી, નાયબ ખેતીવાડી નિયામકશ્રી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

(12:53 pm IST)