Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

બળધોઇના પાટીયે અકસ્માતમાં ઘવાયેલા કોળી પરિવારના ૧૨ સભ્યોમાંથી વિલાસબેનનું મોત

ગઇકાલે જસદણથી ખરખરો કરી પરત આવતી વખતે બળધોઇના પાટીયે અકસ્માત નડ્યો'તો : બે માસુમ પુત્રો મા વિહોણા થયાઃ વિલાસબેનના કોૈટુંબીક ભાઇનું અવસાન થયું હોઇ બધા તેમના ખરખરે ગયા'તા

રાજકોટ તા. ૨૦: ગઇકાલે બળધોઇના પાટીયા પાસે ગાય આડી ઉતરતાં છકડો રિક્ષા પલ્ટી ખાઇ જતાં બળધોઇના કોળી પરિવારના ૧૨ લોકોને નાની-મોટી ઇજાઓ થઇ હતી. તમામને જસદણ સારવાર અપાઇ હતી. ગંભીર ઇજાગ્રસ્ત ૮ લોકોને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જે પૈકી એક મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

અકસ્માતમાં ઘવાયેલા બળધોઇના કોળી પરિવારના ભુપતભાઇ વશરામભાઇ જોગરાજીયા (કોળી) (ઉ.૫૦), વિલાસબેન રાયધનભાઇ (ઉ.૩૦), ધીરૂભાઇ જસમતભાઇ (ઉ.૪૦), સામુબેન ઘુઘાભાઇ (ઉ.૫૫), માવજીભાઇ જસમતભાઇ (ઉ.૪૮), ઘુઘાભાઇ જસમતભાઇ (ઉ.૬૦), ધીરૂભાઇ રાણાભાઇ (ઉ.૫૫) અને ભોળાભાઇને જસદણ સારવાર અપાવી રાજકોટ ખસેડાયા હતાં. અહિ સારવાર દરમિયાન મોડી રાત્રે વિલાસબેન રાયધનભાઇ જોગરાજીયા (ઉ.૩૦)એ દમ તોડી દેતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો છે.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાએ જરૂરી કાર્યવાહી કરી જસદણ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર વિલાસબેનના પતિ રાયધનભાઇ ઘુસાભાઇ છુટક મજૂરી કરે છે. મૃતકને સંતાનમાં પાંચ વર્ષ અને ત્રણ વર્ષના બે પુત્ર છે. જે મા વિહોણા થતાં ગમગીની છવાઇ ગઇ છે. વિલાસબેનના કોૈટુંબીક ભાઇનું જસદણ ખાતે ડુબી જવાથી મોત નિપજ્યું હોઇ તેના ખરખરે કુટુંબીજનો માવજીભાઇની છકડો રિક્ષામાં જસદણ ગયા હતાં. ત્યાંથી પરત આવતી વખતે બળધોઇના પાટીયે ગાય આડી ઉતરતાં અકસ્માત સર્જાયો હતો.

(11:47 am IST)