Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

જામનગરમાં કાર પલટી જતાં બે ભાઈઓનાં મોત

રખડતા કૂતરાને બચાવવા જતાં અકસ્માત થયો : બંને ભાઈ જામનગરથી પડાણા ગામે પરત ફરતા હતા ત્યારે દુર્ઘટના બની : બંને કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા

જામનગર, તા.૨૦ : જામનગર જિલ્લાના મેઘપર ગામ નજીક સોમવારે બપોરે કાર પલટી જતાં બે સગા ભાઈઓનું મોત નીપજ્યુ હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે રોડ પર રખડતા કૂતરાને બચાવવા જતા અકસ્માત સર્જાયો હતો. મૃતકોની ઓળખ રાજેન્દ્રસિંહ ઝાલા (૩૮) અને તેનો નાનો ભાઈ પૃથ્વીરાજસિંહ ઝાલા તરીકે થઈ છે. બંને જામનગરના પડાણા ગામના રહેવાસી છે. સાથે પણ જાણવા મળ્યું છે કે, બંને ભાઈ જામનગર જિલ્લામાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા.

પોલીસ સૂત્રો પાસથી પ્રાપ્ત માહિતી પ્રમાણે બંને ભાઈઓ જામનગરથી પડાણા ગામે પરત ફરી રહ્યા હતા ત્યારે દુર્ઘટના બની હતી. એક કૂતરું રોડ ક્રોસ કરી રહ્યું હતું ત્યારે કારચાલકે તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી ગઈ હતી, જેથી બંને ભાઈઓનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ ગંભીર અકસ્માતમાં અન્ય ત્રણ વ્યક્તિઓ પણ ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બંને મૃતકો પડાણાના સરપંચના ભત્રીજા થતા હોવાનું જાણવા મળ્યું છે. મૃતક બંને ભાઈઓ પૈકી રાજેન્દ્રસિંહ ઝાલાના ઘરે આઠ દિવસ પહેલા પુત્રનો જન્મ થયો હોવાનું જાણવા મળ્યું છે. એકસાથે બંને ભાઈઓના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર સોમવારે બપોરે પસાર થઈ રહેલા એક કાર આડે એકાએક કૂતરું આવી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બનાવમાં કાર બે ત્રણ વખત પલટી મારી ગઈ હતી. જેમાં કારમાં સવાર પાંચ વ્યક્તિઓ બે સગા ભાઈઓના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ વ્યકિતઓને સામાન્ય ઈજાઓ થઈ હતી. બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા.

(7:28 pm IST)