Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

વિજયભાઇ રૂપાણી કાલથી બે દિવસ માટે જૂનાગઢ અને દ્વારકાની મુલાકાતે

મુખ્યમંત્રી રૂપાણીની ઉપસ્થિતિમાં ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ યોજાશેઃ મુખ્યમંત્રી દ્વારકા ખાતે શીવરાજપુર બીચ અને સિગ્નેચર બ્રિજની કામગીરીની સમીક્ષા કરશેઃ મુખ્યમંત્રીશ્રી રૂપાણી દ્વારકા ખાતે દર્શન, પૂજા-અર્ચના કરી સાડા છ કરોડ ગુજરાતીઓની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરશે

રાજકોટ, તા. ર૧ : મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી આવતીકાલે તા. ૨૧ અને ૨૨ જુલાઇના રોજ જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકાની મુલાકાત લેશે.

મુખ્યમંત્રીશ્રી રૂપાણી આવતીકાલે તા. ૨૧ જુલાઇના રોજ સવારે ૧૦.૩૦ કલાકે કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ  ખાતે યોજાનાર ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારંભમાં ઉપસ્થિત રહેશે.

મુખ્યમંત્રીશ્રી બપોર બાદ દેવભૂમિ દ્વારકા ખાતે શીવરાજ બીચની સ્થળ મુલાકાત કરી  વિકાસ કામોનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપશે.

આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રી રૂપાણી  સાંજે સરકીટ હાઉસ, દ્વારકા ખાતે જિલ્લામાં કોરોના રસીકરણની કામગીરી, શીવરાજપુર બીચના કામો અને બેટ દ્વારકા ખાતે તૈયાર થઈ રહેલા સિગ્નેચર બ્રિજની કામગીરી અંગે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજશે.

મુખ્યમંત્રીશ્રી રૂપાણી તા. ૨૨, જુલાઇ ગુરૂવારના રોજ સવારે જગત મંદિર ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન-પૂજા અર્ચના કરીને સાડા છ કરોડ ગુજરાતીઓની સુખ, સમૃદ્ધિ અને પ્રગતિ માટે ભગવાનને પ્રાર્થના કરીને આર્શીવાદ મેળવશે.

(3:11 pm IST)