Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

જામનગરમાં પૂ.મોરારીબાપુની રામકથા માટે વિચાર ગોષ્ઠી યોજાઇ

રામકથાની સવાઁગી સફળતા માટે સંસ્થા,જ્ઞાતિ,વેપારી હોદ્દેદારો-આગેવાનોની ઉપસ્થિતીમાં ચર્ચા-વિચારણા

જામનગરઃપૂ.મોરારીબાપુની રામકથાના આયોજન માટે મિટીંગ યોજાઇ હતી. (તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

જામનગર તા.૨૦: જામનગરમાં યોજાનાર પૂ.મોરારિબાપુની રામકથાના આયોજન માટે યોજાયેલ કથા સેતુમાં શહેરના વિવિધ સ્તરેથી ઉમદા સહયોગની ખાતરી આપવામાં આવી હતી. આ કથા દરમ્યાન દિવ્યાંગો અને વૃદ્ધો માટે બેસવાની અલાયદી વ્યવસ્થા કરવામાં આવેલ છે.

પૂ.મોરારિબાપુની રામકથાના આયોજન માટે શહેરના વિવિધ સ્તરેથી ઉમદા સહયોગ અંગે તત્પરતા દાખવાઇ છે. રામકથાની સર્વાગી સફળતા માટે શ્રી જામનગર રામકથા સમિતિના ઉપક્રમે વિવિધ સંસ્થાઓના હોદેદારો આગેવાનોની બેઠક બુધવારે ઓશવાળ સેન્ટરના કેશવ હોલમાં યોજાઇ હતી.

જામનગરમાં આ વખતે રામકથા દ્વારકા રોડ ઉપર સિવિલ એરપોર્ટ સામે આવેલ તુલસી પાર્ટી પ્લોટની બાજુમાં યોજાશે. આ બેઠકમાં મેયર હસમુખ જેઠવાએ જામનગર મહાનગર પાલિકા દ્વારા સંપૂર્ણ સહકાર આપવા સાથે કથાનું આયોજન નમુનેદાર બની રહે તે માટે ખાતરી આપેલ હતી. રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના ચેરમેન મનહર ઝાલાએ આયોજનને બિરદાવ્યું હતું. મહાજન અગ્રણી આર.કે.શાહ, સુભાષ શાહ દ્વારા મહાજન સંસ્થાઓનો સહકાર અને ઉતારાની વ્યવસ્થામાં સહભાગી થવાનું સ્વીકારેલ હતું. શહેર ભાજપ પ્રમુખ હસમુખ હિંડોચા દ્વારા રામકથાના આયોજનમાં પૂરા સહકારની ખાતરી આપેલ હતી. કોંગ્રેસના મુળુભાઇ કંડોરીયા દ્વારા પણ સમાજ સાથે હોવાનું જણાવેલ હતું. ચેમ્બર પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, ડો.કે.એસ. મહેશ્વરી આહિર સમાજના પ્રમુખ કરશનભાઇ કરમુર, પૂર્વ મેયર દિનેશભાઇ પટેલ દ્વારા પણ કથા સહયોગની ખાતરી આપેલ હતી. આજની બેઠકમાં મહેશ વારોતરિયા, પૂર્વ સરકારી વકીલ એચ.ઓ.ભટ્ટ, લોહાણા સમાજના પ્રમુખ જીતુ લાલ, ડો.માટલીયા, ડો.આચાર્ય, ડો.સાતા, ડો.માંકડ, ધારાશાસ્ત્રી ભરતભાઇ સુખપરિયા, વિપુલભાઇ કોટક, હાલારી ભાનુશાળી સમાજના એડવોકેટ જયંતિભાઇ કનખરા, મુસ્લિમ સમાજના હાજી દાઉદભાઇ, હુશેનભાઇ, ભાજપના પૂર્વ પ્રમુખો મુકેશ દાસાણી, હિતેન ભટ્ટ, નીલેશ ઉદાણી, જાણીતા બિલ્ડર કરશનભાઇ ભુતીયા, મેરામણભાઇ પરમાર, વેપારી એસો.ના પ્રમુખ સુરેશ તન્ના તેમજ અન્ય આગેવાનોએ પોતે પોતાના કાર્ય ક્ષેત્રમાં આવેલી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવા અને સહયોગી બનવા ખાતરી આપી હતી.

જામનગરમાં આ રામકથાના આ આયોજન માટે સેતુ બનેલા જયંતિભાઇને સૌએ અભિનંદન આપ્યા હતા. જેન્તીભાઇ જામનગરના લોકો માટે જામનગરીઓની રામકથા જામનગરને સમર્પિત કરતા જણાવેલ હતું કે જામનગરની આ પોતાની કથા છે. કથાને સર્વશ્રેષ્ઠ બનાવવા માટે આપ સૌએ આગળ રહેવુ પડે અને કથાના આયોજનો સૌ કોઇ લાભ લઇ શકે તેવી વ્યવસ્થામાં સહભાગી બનવું પડશે. જે વાતને ઉપસ્થિત તમામે સ્વીકારીને આનંદ વ્યકત કર્યો હતો.

આ બેઠકમાં જે તે આગેવાનો દ્વારા દેશ વિદેશથી આવનારા મહેમાનો માટે ઉતારાની વ્યવસ્થા તથા જામનગર શહેરના અને દ્વારકા, ખંભાળીયા, ધ્રોલ, જોડીયા, ઓખા, કાલાવડ, ભાણવડ વગેરે સ્થળોએથી આવનાર શ્રોતાઓ માટે પર્યાપ્ત  વ્યવસ્થા કરવા તૈયારી દાખવાઇ હતી. વિશેષમાં જણાવેલ હતુ કે રામકથા સમયગાળામાં સંભવિત વરસાદ સંદર્ભમાં સભામંડપમાં પાણી પડે નહિં તેવા ડોમ, પર્યાપ્ત બેઠક વ્યવસ્થા, ચારમ ોટા સ્ક્રીન, પાર્કિગ, સફાઇ, પ્રાથમિક તથા ઇમરજન્સી સારવાર માટે એમ્બ્યુલન્સ, ફાયર ફાઇટર, મહાપ્રસાદ અને પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરાશે. આ તમામ વ્યવસ્થાઓ માટે જુદી જુદી કમિટીની રચનાઓ કરવામાં આવશે. અને દરેકને અલગ અલગ જવાબદારીઓ સોંપાશે તેને આપણે સૌ સુપેર નિભાવીશું અને આયોજન જામનગર શહેરના લોકોનું હોવાની પ્રતીતિ હૃદયસ્પર્શી બાબત વર્ણવી હતી. તેમજ લોકોને આ આયોજનમાં જોડાવાનું આહવાન આપ્યું હતું. આ રામકથામાં દિવ્યાંગો તેમજ સિનિયર સિટીઝનો માટે પણ અલાયદી બેઠક વ્યવસ્થા કથા શ્રવણ માટે રાખવામાં આવી હતી. આ આયોજનમાં માત્ર તન અને મનથી જોડાવાની અપિલ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન એડવોકેટ વિરલ રાચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું.

(1:17 pm IST)