Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

કચ્છના ચોબારી ગામ ના ના ખેડૂતોની ગાંધીગીરી- સરકારને નર્મદાના પાણીની યાદ અપાવવા હવન સાથે રામધૂ

ભુજ : કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કચ્છમાં નર્મદાના નીર પહોંચાડવાના દાવાઓ ભલે થઈ રહ્યા હોય, પણ વાસ્તવિક પરિસ્થિતિ કંઇક બીજી જ છે. નર્મદાના સિંચાઈના પાણીની કેનાલ હજી રાપર અને ભચાઉ સુધી જ પહોંચી છે. પણ, આ કેનાલમાં પણ મોટા ભાગે નર્મદાના નીર મળતા નથી. નર્મદામાં પૂરતું પાણી છે, બંધ ની ઉંચાઈ પણ વધી ગઈ છે અને એક માત્ર વાગડ વિસ્તાર સુધી જ નર્મદાનું પાણી અપાતું હોવા છતાંયે મોટાભાગે નર્મદાની આ કેનાલ ખાલી જોવા મળે છે. દુષ્કાળના આ સમયમાં કચ્છ પાણી ઝંખી રહ્યું છે, પણ સરકાર પાણી પહોંચાડી શકતી નથી, એટલે ભચાઉના ચોબારી ગામના નારાજ ખેડૂતોએ ગાંધીગીરી સાથે પોતાનો વિરોધ દર્શાવીને સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. આજે ખેડૂતોએ હવનનું આયોજન કરીને રામધૂન બોલાવી હતી અને  સિંચાઇની કેનાલમાં  નર્મદાના નીર વહેતા કરવાની માંગણી કરી હતી. કચ્છની એ કમનસીબી છે કે, નર્મદાના નીર કચ્છમાં પહોંચાડયાનો  દાવો સરકાર દ્વારા સતત કરાતો હોવા છતાંયે વાગડ સુધી પહોંચેલી નહેરમાં પણ પાણી પૂરતા મળતા નથી. તો, ભચાઉ થી અંજાર, મુન્દ્રા થઈને મોડકુબા સુધીની સિંચાઇની નહેરનું કામ ધીમી ગતિએ ચાલે છે, પૂર્ણ થતું નથી. વિપક્ષ કોંગ્રેસનો આક્ષેપ છે કે,સરકાર દ્વારા બજેટમાં નર્મદા માટે પૂરતા રૂપિયાની ફાળવણી કે સિંચાઇની નહેરના કામ કયારે પૂર્ણ થશે તે વિશે સ્પષ્ટતા કરાઇ નથી. દુષ્કાળના વિપરીત સંજોગોમાં કચ્છ માટે નર્મદા ખરેખર જીવાદોરી બની શકે તેમ છે. પણ, વર્તમાન પરિસ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરતી નર્મદા લડત સમિતિ કહે છે કે, નર્મદાની મુખ્ય નહેરની સાથે  કચ્છમાં બ્રાન્ચ કેનાલના કામો થવા જોઈએ પણ એકે કામ પૂરું કરતું નથી. નર્મદાના સિંચાઈના પાણી માટે ભાજપની સમર્થક કિસાન સંસ્થા ભારતીય કિસાન સંઘ  દ્વારાપણ વારંવાર રજુઆત કરીને હવે આંદોલનનું એલાન કરાયું છે. મૂળ વાત એ છે કે, હવે રાજ્ય અને કેન્દ્ર બન્નેમાં જ્યારે ભાજપની જ સરકાર છે, ત્યારે નર્મદાનું પાણી કચ્છ સુધી પહોંચાડવા માટે કોંગેસ ઉપર અન્યાયના જુના આક્ષેપો કરવાને બદલે હવે ભાજપે પાણી પહોંચાડવાની જવાબદારી નિભાવવી જોઈએ. કચ્છી માડુઓએ પણ લોકસભાની ચૂંટણીઓમાં નરેન્દ્રભાઈ મોદી અને ભાજપ ઉપર જે વિશ્વાસ મુક્યો છે એ વિશ્વાસ હવે સાર્થક થાય તેવું ઇચ્છીએ.

(1:01 pm IST)