Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

ભુજમાં બોગસ બીપીએલ રેશનકાર્ડ મામલે હાઇકોર્ટેના તપાસના આદેશને પગલે ધડબદાટી

કચ્છના જાણીતા દાતાના નામ સહિત ભુજના ૧૩૭૦૩ બોગસ રેશનકાર્ડની યાદી અદાલતમાં રજૂ કરાયા બાદ ચીફ જસ્ટિસની બેન્ચે આપ્યો તપાસનો આદેશ

ભુજ, તા.૨૦: કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા ગરીબ વર્ગને અપાતા સસ્તા અનાજનો જથ્થો બારોબાર કાળાબજારમાં વેચી નાખવાના ધીકતા ધંધાને કારણે લાભાર્થી વર્ગને યોજનાનો લાભ મળતો નથી. તો, દ્યણા કિસ્સામાં એપીએલ કાર્ડ ધારકો અને સુખી સંપન્ન વર્ગના નામે તેમની જાણ બહાર જ તેમના નામે બીપીએલ કાર્ડ બનાવીને રાશન મેળવી તે અનાજનો જથ્થો બારોબાર કાળા બજારમાં વેંચી દેવાય છે. આ બન્ને પ્રકારના કૌભાંડ અંગે કચ્છના જાણીતા રાજકીય સામાજિક આગેવાન આદમ ચાકીએ હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરી હતી. જેમાં ભુજ શહેરની ૪૦ સસ્તા અનાજની દુકાનોમાં ૧૩,૭૦૩ બોગસ બીપીએલ કાર્ડ હોવાના આધાર પુરાવાઓ રજૂ કર્યા હતા. જે અનુસાર કચ્છના જાણીતા દાતા અને ઉદ્યોગપતિ નાનજી સુંદરજી સેજપાલનું નામ પણ બીપીએલ યાદીમાં હતું. આ જાણ બાદ દાતા પરિવારે ભુજ પોલીસને અરજી પણ કરી હતી. બોગસ બીપીએલ કાર્ડમાં ભુજના ભાજપ કોંગ્રેસના જાણીતા રાજકારણીઓના નામ પણ સામેલ હોવાના આધાર પુરાવાઓ શ્રી ચાકીએ આપ્યા હતા. તે ઉપરાંત બન્ની પચ્છમ વિસ્તારના ૩૩૯૨ બીપીએલ કાર્ડ ધારકોને તેમના ભાગનું અનાજ ૧૬ મહિનાથી મળતું નહોતું. જોકે, આ અનાજ કયાં જતું હતું ? તેવા સવાલો સાથે શ્રી ચાકીએ ભુજના પુરવઠા ગોડાઉનમાં જનતા રેડ કરીને કાળા બજારનું કૌભાંડ ઝડપ્યું હતું. પણ, જિલ્લા કક્ષાએ તેમની રજુઆત બાદ કોઈ કાર્યવાહી ન કરાતાં તેમણે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરી હતી. જેને પગલે ચીફ જસ્ટિસની બેન્ચે કચ્છના વહીવટીતંત્રને તા/૧૧/૭ સુધીમાં તપાસ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. પણ, આ અંગે તંત્રએ સમય માંગતા ફરી ૧૮/૭ ની તારીખ પડી હતી. જોકે, બબ્બે તારીખોમાં પણ રિપોર્ટ રજૂ ન થતા હવે અદાલતે ૨૯/૭ની મુદ્દત આપી છે. દરમ્યાન હાઇકોર્ટના આદેશને પગલે સસ્તા અનાજની દુકાનોએ તપાસ ટીમ પહોંચતા ધડબડાટી મચી ગઇ છે. જોકે, ગરીબ વર્ગના ન્યાય માટે હાઇકોર્ટ ઉપરાંત જરૂર પડ્યે સુપ્રીમ કોર્ટમાં પણ જવું પડે તો જવાની ચીમકી આદમ ચાકીએ ઉચ્ચારી છે.

(11:30 am IST)