Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ભાવનગરમાં લૂંટના આરોપીને ઝડપી લેવા પોલીસની દોડધામ

ભાવનગરમાં હિરાની લૂંટના આરોપીઓ ને ઝડપી લેવા પોલીસ દોડધામ કરી રહી છે.

ભાવનગર તા. ૨૦: ભાવનગર શહેરમાં હિરાના કારખાનેદારને ત્રણ બુકાનીધારી શખ્સોએ છરી બતાવી, રીવોલ્વર તાકી રૂ. પ લાખનાં હિરા તથા રૂ. ૩૦ હજાર રોકડા સહિત રૂ. પ.૩૦ લાખની લૂંટ ચલાવી નાસી છુટતાં પોલીસતંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. પોલીસ લૂંટારુઓને ઝડપી લેવા દોડધામ કરી રહી છે.

લૂંટના આ બનાવની વિગતો એવી છે કે શહેરનાં તળાજા રોડ કામીનીયા નગર પાસે રાધાકૃષ્ણ કોમ્પલેક્ષમાં ત્રીજા માળે ઓફિસ નં-૧૪ માં હિરાનું કારખાનું ધરાવતાં અશોકભાઇ પ્રેમજીભાઇ જાસોલીયા તરસમીયાવાળા ગઇકાલે સવારે ૭ વાગ્યે ઓફિસ ખોલી ભગવાનને અગરબતી-ધુપ કરતાં હતાં ત્યારે ત્રણ બુકાનીધારી શખ્સો ઘુસી આવ્યાં હતા અને એક શખ્સે કારખાનાનો દરવાજો બંધ કરી અન્ય બે શખ્સો માંથી એક શખ્સે છરી અને એક શખ્સે રીવોલ્વર બતાવી અશોકભાઇ પાસેથી તિજોરીની ચાવી માંગી તિજોરીમાંથી ૩૩ કેરેટ તૈયાર હિરા અને ૧૧૦ કેરેટ કાચા હિરા મળી કુલ રૂ. ૫ લાખનાં હિરા તથા રોકડા રૂ. ૩૦ હજાર મળી કુલ રૂ. પ.૩૦ લાખની મતાની લૂંટ ચલાવી નાસી છુટયા હતા.

આ બનાવની પોલીસને જાણ કરતાં જ એસ.પી. માલ, સિટી ડી.વાય.એસ.પી.મનીષ ઠાકર, એલ.સી.બી., એસ.ઓ.જી. પોલીસ, ભરતનગર પોલીસ સ્ટેશનનાં પી.આઇ. જે.એમ. ચાવડા તથા સ્ટાફ, ડોગ સ્કવોડ વિગેરે કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

વહેલી સવારે લૂંટનાં આ બનાવથી સ્થાનિક વિસ્તારનાં લોકોનાં ટોળા ઉમટી પડયા હતા. આ બનાવ અંગે હિરાનાં કારખાનેદાર અશોકભાઇ જાસોલીયાએ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ત્રણ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ પી.આઇ. જે.એમ. ચાવડા ચલાવી રહયાં છે. દરમ્યાન પોલીસે લૂંટારુઓને ઝડપી લેવા અલગ-અલગ ટીમ બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. લૂંટારુઓ હાથવેતમાં હોવાનું પોલીસ જણાવી રહી છે.

(11:41 am IST)