Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

ભુસ્ખલનના કારણે ચારધામની યાત્રાએ ગયેલા ભાવનગરના ૩૦૦ સહિત ગુજરાતના ૧૦ હજાર યાત્રિકો અટવાઇ ગયા

યમનોત્રીમાં તંત્રની નિષ્ક્રિયતાના કારણે ખાવા-પીવાની વસ્તુ તથા રહેવાની સગવડતા માટે વધુ રૃપિયાની વસુલાત

(મેઘના વિપુલ હિરાણી) ભાવનગર તા.૨૦ : કોરોના વિરામ લેતા ચારધામઙ્ગ ફરી શરૃ થઈ છે. અને આ વખતે ભકતોનું ઘોડાપુર ઉમટ્યું છે ત્યારે યમનોત્રી નજીક ભૂસ્ખલનને લીધે માર્ગ તૂટી જતા ભાવનગરના ૩૦૦ સહિત ગુજરાતના ૧૦ હજાર જેટલા યાત્રાળુઓ યમનોત્રીમાં હાલ તુરત ફસાઈ ગયા છે. બે દિવસથી યમનોત્રીમા આ સેંકડો લોકો ફસાઇ ગયા હોય તો હોટલમાં ભાવ આસમાને આંબી ગયા છે. સ્થાનિક સ્તરે તંત્ર દ્વારા તત્કાલ કોઈ વ્યવસ્થા ન કરાતા હોટલના ભાડા વધારીને રૃપિયા પાંચ હજાર કે તેનાથી વધુ થઈ ગયા છે તેમ ભાવનગરથી ચારધામની યાત્રાએ ગયેલા ઈસ્કોન મંદિરના વેણુગોપાલ સ્વામીએ એક વાતચીતમાં જણાવ્યું હતું જો કે હાલ પરિસ્થિતિ કોઈ રીતે ગંભીર નથી તેમ પણ જણાવ્યું હતું અને સૌ કોઈ કુશળ છે.ઙ્ગ

ચારધામની યાત્રાએ ભાવનગરમાંથી ત્રણ ગ્રુપના કુલ ૩૦૦ જેટલા યાત્રાળુઓ ગયા છે જેમાં ગઈકાલે યમનોત્રી નજીક રાણા ચટ્ટી પાસે ભૂસ્ખલનને લીધે માર્ગ તૂટી ગયો છે અને હવે નાના વાહનો ચાલતા થયા છે પરંતુ મોટા વાહનો હજી પસાર થઈ શકતા નથી. વળી આ નાના વાહનોનું પરિવહન શરૃ થઈ ગયું હોય રસ્તો જલદી રિપેર પણ થઇ શકતો નથી. આથી ભાવનગરના ૩૦૦ અને ગુજરાતના અંદાજે દસ હજાર જેટલા યાત્રાળુઓ યમનોત્રીમાં ફસાઈ ગયા છે. સ્થાનિક તંત્ર દ્વારા રહેવા જમવા કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. પાણીની એક બોટલના ભાવ ૫૦ થઈ ગયા છે. કેટલીક હોટલોમાં તો ભાડા બમણા કરી દેવામાં આવ્યા છે. આથી સ્થાનિક તંત્ર અને સરકાર જો તત્કાલ યુદ્ઘના ધોરણે સહાય કરે તો આ યાત્રાળુઓની પરેશાની ઓછી થાય તેમ છે. આમ ચારધામની યાત્રાએ ગયેલા ભાવનગર સહિત ગુજરાતભરના ૧૦૦૦૦ થી વધુ યાત્રાળુઓ ભુસ્ખલનને લીધે અટવાઈ ગયા છે. અને યમનોત્રીમાં સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતાને લીધે આ યાત્રાળુઓને રહેવા, ખાવાથી લઈને પીવાના પાણી સુધીની ચીજો માટે મોટી રકમ ચૂકવવી પડે છે.

(12:30 pm IST)