Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

દુષ્કાળને લક્ષમાં રાખીને પાણીની બચત કરવા સારંગપુરમાં પુષ્પદોલોત્સવમાં પાણીનો ઉપયોગ નહીં કરવા નિર્ણય

ભાવનગર તા.૨૦: ભગવાન શ્રી સ્વામિનારાયણ સમયથી તીર્થધામ સારંગપુર (જિ. બોટાદ) અહીંના ઉત્સવ માટે અને ખાસ કરીને રંગોત્સવ માટે પ્રખ્યાત છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે અહીં રંગોત્સવ કરીને સૌને દિવ્ય આનંદ આપ્યો હતો તેની સ્મૃતિમાં આજપર્યત પ્રતિ વર્ષે હોળી-પુષ્પદોલોત્સવ પ્રસંગે અહીં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા રંગોત્સવ યોજવામાં આવે છે. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે અહીંના રંગોત્સવને એક વિશેષ આધ્યાત્મિક મહત્વ આપીને ભકતોમાં તેનું અનોખું આકર્ષણ જન્માવ્યું હતું. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના અનુગામી પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના સાંનિધ્યમાં પણ આ રંગોત્સવ ઉજવાય છે.

પરંતુ ગત વર્ષે જરૂરિયાત કરતાં ઓછો વરસાદ થયો હોવાને કારણે ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં દુષ્કાળની જાહેરાત કરવામાં આવી છે. આવા કટોકટીના સમયે પોતાની નૈતિક જવાબદારી સમજીને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા હંમેશા સમાજહિત માટે પહેલ કરવામાં આવી છે. આથી દુષ્કાળની આ સમસ્યાને લક્ષમાં રાખીને પાણીનો બચાવ કરગા માટે બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી, બી.એસ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાએ પુષ્પદોલોત્સવ-હોળી પ્રસંગે રંગોત્સવની ઉજવણી સાદગીથી કરવાનું નિરધાર્યું છે. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય સંયોજક પૂજય ઇશ્વરચરણદાસ સ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે કે 'દુષ્કાળનો પ્રસંગ હોય કે ભૂકંપ રાહતકાર્ય હોય કે પુલવામા શહીદ થયેલા સૈનિકોને સહાય આપવાની બાબત હોય, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાએ તેના સૂત્રધાર પરમ પૂજય પ્રમુખ સ્વામી મહારાજ અને તેમના અનુગામી પરમ પૂજય મહંત સ્વામી મહારાજના આદેશ મુજબ આવા પ્રસંગે સૌને પ્રેરણા આપતી પહેલ કરી છે.(૧.૧૦)

 

(12:02 pm IST)