News of Wednesday, 20th March 2019
ઉપલેટામાં હોલીકા-પ્રહલાદની પ્રતિકૃતિઃ ઉપલેટાઃ ટાવર રોડ ઉપર આવલા નવયુગ ચોકમાં આ વખતે સેવાભાવી નવયુગ યુવા ગ્રુપ દ્વારા હોળીનું અનોખું આયોજન કરવામાં આવેલ છે. તેમાં હોલીકાનું વિશાળ કદનું આકર્ષક પ્રતિકૃતિ બનાવી તેના ખોળામાં પ્રહલાદને બેસાડી હોળી પ્રગટાવવામાં આવશે અત્યારથી જ છાણાની ગોઠવેલી હોળી ઉપર પ્રતિકૃતિને જોવા માટે લોકો મોટી સંખ્યામાં એકઠા થયા છે. (અહેવાલઃ જગદીશ રાઠોડ,તસ્વીરઃ ભોલુ રાઠોડ, ઉપલેટા)
રાજકોટ તા.૨૦: આજે રાત્રે હોલીકાદહન સાથે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં હોળી પર્વની ઉજવણી કરવામાં આવશે. જયારે કાલે રંગપર્વ ધૂળેટીની ઉજવણી કરવામાં આવશે.
હોળી-ધૂળેટી પર્વની ઉજવણી અંતર્ગત ધાણી, ટોપરા, ખજૂર, પીચકારી, કલરની ખરીદી કરવા માટે લોકો બજારમાં ઉમટી પડયા છે.
ધાર્મિક સ્થાનોમાં ફુલડોલ મહોત્સવ ભવ્યતાથી ઉજવાશે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે.
વેરાવળ
વેરાવળ : સમસ્ત ભોઇ સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હોલિકા ઉત્સવ નિમિતે ભૈરવનાથબાપાની પ્રતિમાના દર્શનનું આયોજન તા. ર૦-૩-ર૦૧૯ ને બુધવારના રોજ સાંજે ૭ કલાકે ૮૦ ફુટ રોડ, શારદા સોસાયટી ખાતે કરવામાં આવેલું છે. ખુબ પ્રાચીન કાળથી આ ઉત્સવનું આયોજન હોળી - ધુળેટીના તહેવાર દરમ્યાન ભોઇ સમાજમાં થઇ રહ્યું છે. પુરાતન સમયમાં જયારે અંધકાર યુગ હતો તેવા સમયથી સમાજના વડીલો આ ઉત્સવ ઉજવતા હતાં. હાલ આધુનિક યુગમાં સમાજના યુવાનો દ્વારા આ ઉત્સવની પરંપરા જાળવી રાખેલ છે.
સમગ્ર વિસ્તારને રોશનીથી શણગારવામાં આવશે આ ઉત્સવ દરમ્યાન સમાજની જાગૃતી માટેના વિવિધ ફલોટસ દ્વારા પણ અનેરૂ આકર્ષણ ઉભુ કરવામાં આવશે. ભૈરવનાથ ભગવાન શિવનું રૌદ્ર સ્વરૂપ છે. અને હોળીના અગાઉના દિવસથી આ પ્રતિમાનાં નિર્માણ કાર્યનો આરંભ થાય છે. પથ્થર તથા ભીની માટી વાંસ દ્વારા પારંગત કાર્યકર્તાઓ વિશાળ પ્રતિમાનું નિર્માણ કરે છે. ખૂબ જ પવિત્ર વાતાવરણમાં આ પ્રતિમાને રંગબેરંગી ચમકતા કાગળો તથા ફુલો, આભુષણો દ્વારા સુશોભીત કરવામાં આવે છે. હોળીના અગાઉના દિવસની મધ્ય રાત્રીએ સંપૂર્ણ મૂર્તિની પ્રતિષ્ઠા કરી ઉત્સવનો પ્રારંભ થાય છે અને આ ઉત્સવ ધુળેટીના મધ્યાહન સુધી ચાલે છે. હોળીના દિવસની સાંજે હોલીકાનું પ્રાગટય થાય છે ત્યારે સમાજના વડીલો-માતાઓ બહેનો દ્વારા વેદ મંત્રોચ્ચાર સાથે પૂજન થાય છે. ભગવાન ભૈરવનાથના દર્શન માટે શહેરના શ્રેષ્ઠીઓ સામાજીક અગ્રણીઓ દરેક સમાજના દરેક વર્ગના લોકો વિશાળ સંખ્યામાં ઉત્સાહથી જોડાય છે. લોકો દ્વારા અનેક પ્રકારની માનતા માનવામાં આવે છે તથા પતાસા, સાકર, મીઠાઇઓ, ખજૂર તથા સુકા મેવાનો પ્રસાદ ધરાવવામાં આવે છે. અને ધુળેટીના દિવસે બપોરે ધામધૂમથી પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. ભૈરવનાથના સ્થાપનો તથા પૂજનનો ઉલ્લેખ જોવા મળે છે. તથા શિવ સ્વરૂપ હોવાથી દેશભરમાં જયાં જયાં શકિત પીઠો આવેલી છે ત્યાં ભગવાન ભૈરવનાથની પ્રતિમાઓના દર્શન થાય છે. જયોતિલીંગ ભગવાન કાશી વિશ્વનાથ જયાં બીરાજે છે તેવા વારાણસી તથા કુંભનગરી ઉજ્જૈનમાં પણ ભૈરવનાથબાપાના મુખ્ય સ્થાનો આવેલા છે. ગંગા નદીના કિનારે વસેલા કાશી નગરીમાં ભગવાન ભૈરવનાથનું ખૂબ જ મહત્વ રહેલું છે. શાસ્ત્રોમાં કાશીના કોટવાળા તરીકે ઓળખાય છે.
વેરાવળ શહેરમાં પણ હોળીના તહેવાર નિમિતે ઉજવાતા આ ઉત્સવમાં દર્શનનો લાભ લેવા વેરાવળ સમસ્ત ભોય સમાજના પ્રમુખ જયેશભાઇ ડોલરીયા તથા પંચ સભ્યશ્રીઓ દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવેલ છે. સફળ બનાવવા સમગ્ર સમાજ તથા રૂદ્રાક્ષ મિત્ર મંડળ, ભૈરવનાથ મિત્ર મંડળ, બજરંગ, શિવશકિત, ક્રિષ્ના, સાંઇ, બાંસુરી, આર્યન, બાલાજી, માહી, ગાયત્રી મિત્ર મંડળો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવેલ છે.