Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

જામનગરના મીઠાઇવાલાનો અનોખો મોદી પ્રેમ દુકાને આવનાર તમામને આપે છે અનોખો પેંડો

એરસ્ટ્રાઇક પછી ૧૫૦ કિલોથી વધુ પેંડા વિનામૂલ્યે વ્હેંચ્યાઃ મોદીની આકૃતિમાં બનાવેલા છે કેસર અને માવાના પેંડા

જામનગર તા. ૨૦ : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાહકો આખા દેશમાં છે. મોદી ફેન્સ અલગ અલગ રીતે પોતાની વડાપ્રધાન મોદી પ્રત્યેની ચાહના વ્યકત કરતા હોય છે. ત્યારે આજે વાત કરવી છે જામનગરના એક અનોખા ચાહકની કે જેમણે પોતાનો વડાપ્રધાન મોદી પ્રત્યેનો પ્રેમ અનોખી રીતે દર્શાવ્યો છે. જામનગરના શીખંડ સમ્રાટ મીઠાઈવાલા વડાપ્રધાન મોદીની છબી અંકિત કરેલા પેંડા પોતાની દુકાને આવતા તમામ ગ્રાહકોને વિનામૂલ્યે ખવડાવી રહ્યા છે.

વડાપ્રધાન મોદીની રજામંદીથી થયેલ એર સ્ટ્રાઈક કામગીરીને તેમણે આ પ્રકારે અનોખી રીતે ઉજવી છે. એર સ્ટ્રાઈકથી લઈને અત્યાર સુધીમાં તેઓએ અંદાજે ૧૫૦ કિલોથી પણ વધુ પેંડા લોકોને વિનામૂલ્યે ખવડાવ્યાં છે. કામગીરીને બિરદાવવા ભારતભરમાં જયારે જશ્નનો માહોલ છે, એવા સમયે જામનગરના આ અનોખા મોદીભકત હિતેશભાઈ દ્વારા પોતાની દુકાને આવતા ગ્રાહકોને મોદીજીની આકૃતિમાં બનાવેલા કેસર અને માવાના પેંડા વિનામૂલ્યે ખવડાવી રહ્યા છે.

વડાપ્રધાન મોદીની ઈમેજ અને આકૃતિ વાળા પેંડા બનાવવા માટે સૌ પ્રથમ હિતેશભાઈ નામના આ મોદી પ્રેમીએ એક ડાઈ બનાવી. આ ડાઈ બનાવવા માટે એક મહત્વપૂર્ણ પ્રોસેસ કરી અને ત્યાર બાદ એક ડિઝાઈન તૈયાર કરવામાં આવી. ત્યારબાદ તેના દ્વારા મોદીજીના પેંડા બનાવી અત્યારે તેઓ, લોકોને વિના મુલ્યે ખવડાવી રહ્યા છે. હિતેશભાઈએ કહ્યું કે, હું ગર્વથી કહું છું કે હું મોદી ભકત છું.

મીઠાઈવાળાના આ અનોખા મોદી પ્રેમને તેની દુકાને આવનારા ગ્રાહકો પણ બિરદાવી રહ્યા છે અને ખૂબ જ હોંશે હોશે જયારે મીઠાઈની ખરીદી કરવા આવે છે ત્યારે મોદીજીની આકૃતિ વાળો પેંડો હાથમાં લઇ લઇને તેનો અભ્યાસ કરી પોતાના મોં પણ મીઠું કરે છે મીઠાઇની દુકાનો તો ઘણી જામનગરમાં આવેલી છે પરંતુ આ અનોખા મોદી ભકતની મીઠાઈની દુકાનની મુલાકાત લઈને જોવા મળતા અનોખા માહોલને પણ ગ્રાહકો દ્વારા આવકાર આપવામાં આવે છે.

(10:23 am IST)