Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

બહેન માનેલી મહિલાને પોલીસ જીવીત માનીને શોધતી રહી : ચણી દેવાયેલ મકાનના પાયામાંથી મૃતકના અવશેષો મળ્યા

ફિલ્મ 'દ્રશ્યમ' જેવું દ્રશ્ય સમાન ભુજના રૂકસાના માજોઠી હત્યાકાંડનો ભેદ ખુલ્યો : પ્રેમિકા માટે પત્નિની હત્યા કરનાર પતિ સહિત ૫ ઝડપાયા

ભુજ તા. ૨૦ : 'પાપ હંમેશા છાપરે ચડીને પોકારે છે', એ ઉકિત ભુજની એક મહિલાના હત્યા કેસમાં સાચી પડી છે. નવ મહિના થયા ગુમ થયેલી ભુજની મુસ્લિમ મહિલાની હત્યા કરાઈ હતી અને એ હત્યાના ભેદભરમનું રહસ્ય પોલીસે ઉકેલ્યું છે. પશ્ચિમ કચ્છ એલસીબી દ્વારા આ હત્યા કેસ સંદર્ભે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ માં એલસીબી ના ઇન્ચાર્જ પીઆઇ એમ.બી. ઔસુરાએ આપેલી માહિતિ અનુસાર ભુજ ના ઇસ્માઇલ હુસેન માજોઠી એ તા/૧૦/૬/૨૦૧૮ ના પત્ની રૂકસાના ગુમ થઇ છે તે અંગે બી ડિવિઝન પોલીસ માં નોંધ કરાવી હતી. ત્યાર પછી પણ પોલીસ ઉપર દબાણ બનાવતા ઇસ્માઇલે ડીએસપી, કલેકટરને આવેદનપત્ર આપી પોતાની ગુમ પત્ની રૂકસાનાને શોધી આપવા દબાણ બનાવ્યું હતું એટલુંજ નહીં ગુજરાત હાઇકોર્ટ માં અરજી કરીને પોતાની ગુમ થયેલ પત્ની રૂકસાનાને શોધવાને બદલે પશ્ચિમ કચ્છ એલસીબીની કામગીરી બરાબર ન હોઈ અન્ય પોલીસ એજન્સીને તપાસ સોંપવા માટે માંગણી કરી હતી.

માં અને ભાઈઓની શંકાને પગલે પોલીસે ઇસ્માઇલ ઉપર વોચ ગોઠવી અને 'બેવફા' પતિ નો નકાબ ચીરાયો

રૂકસાનાની માતા શકીનાબેન અને બે ભાઈઓ સલીમ તેમ જ ઇકબાલે રૂકસાનાના ગુમ થયાની પોલીસ ફરિયાદ કરનાર તેના પતિ ઇસ્માઇલ તેમજ તેની પ્રેમીકા એવી બીજી પત્ની ઉપર રૂકસાનાની હત્યા કરી હોવાનો આક્ષેપ મૂકી પોલીસ સમક્ષ તપાસની માંગણી કરી હતી. દરમ્યાન ઇસ્માઇલ દ્વારા પોતાની પ્રથમ પત્ની ગુમ થઈ છે એ નાટક કરવાની સાથે હત્યાની આખીયે ઘટનાને છુપાવવા માટે આપણા રુંવાડા ઉભા થઇ જાય એવું માસ્ટર માઈન્ડ વાપરીને આયોજન કરાયું હતું. આ આખીયે મર્ડર મિસ્ટ્રીને અંજામ આપનારા એક મહિલા સહિત ૭ આરોપીઓને પોલીસે અટકમાં લીધા છે. (૧) ઇસ્માઇલ હુસેન માજોઠી (મહેરૂન પાર્ક, મુસ્લિમ એજયુકેશન હાઈસ્કૂલ ચાર રસ્તા પાસે , ભુજ) અને તેને સાથ આપનાર અન્ય પાંચ આરોપીઓ (૨) જાવેદ જુસબ માજોઠી, ( પીરવાળી શેરી, કેમ્પ એરિયા, ભુજ) (૩) સાજીદ દાઉદ ખલીફા, (રામનગરી, માધાપર,ભુજ) (૪) સાયમા સાજીદ ખલીફા, (રામનગરી, માધાપર, ભુજ) (૫) અલ્તાફ અબ્દુલ માજોઠી (રાજધાની પાર્ક, રેલવે સ્ટેશન પાસે, ભુજ) (૬) સબીર જુસબ માજોઠી, (૭) મામદ ઓસમાણ કુંભાર (પીરવાળી શેરી, કેમ્પ એરિયા, ભુજ) ની ધરપકડ કરી છે. આઈજી ડી. બી. વાઘેલા અને ડીએસપી સૌરભ તૌલુબિયાના માર્ગદર્શન હેઠળ પશ્યિમ કચ્છ એલસીબીની ટીમે ટેકિનકલ સર્વેલન્સ અને મોબાઈલ ફોનને આધારે વોચ ગોઠવી ધીરજ પૂર્વક તપાસ કરી અને ૯ મહિના પછી આ હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. જોકે, મર્ડર મિસ્ટ્રીનો ઇસ્માઇલે રચેલો ખોફનાક ખેલ ક્રાઇમ થ્રિલર અને ક્રાઈમ સસ્પેનશન નોવેલ જેવો છે.

'બેવફા પતિએ મૃત પત્ની પ્રેમી સાથે નાસી ગઈ છે, એવો 'ખેલ' રચ્યો

ઇસ્માઇલે ઉર્ફે 'માલા' એ તેની મુંબઈની પ્રેમિકા એવી બીજી પત્ની નાઝીયા સાથે લગ્ન કર્યા બાદ પ્રથમ પત્ની રૂકસાના સાથે તેના ઝઘડા થતા હતા. રૂકસાના એ બીજી પત્નીના પ્રેમમાં પાગલ બનેલા ઇસ્માઇલ સામે મારકુટની પોલીસ ફરિયાદ પણ કરી હતી. એટલે ઇસ્માઇલ ઉર્ફે માલા એ રૂકસાના ને કાયમ માટે ચૂપ કરી દેવા હત્યાનું ષડ્યંત્ર રચ્યું હતું. હત્યાની આ ઘટના અંગે ઇન્ચાર્જ પીઆઇ શ્રી ઔસુરાના જણાવ્યા પ્રમાણેઙ્ગ ૯/૬/૨૦૧૮ ના સાંજે સાત વાગ્યાના અરસામાં ઇસ્માઇલનો માસીનો દીકરો જાવેદ જુસબ માજોઠી રૂકસાનાને બલેનો કાર માં ભુજના જીઆઇડીસી પાસે આવેલઙ્ગ કાસમશા પીર ની દરગાહ પાસે લઇ ગયો હતો અને છરી વડે રૂકસાનાનીઙ્ગ હત્યા કરી નાખી હતી. ત્યાં જાવેદે અન્ય આરોપીઓઙ્ગ સબીર જુસબ માજોઠી અને અલ્તાફ અબ્દુલ માજોઠી ની મદદ થી આયશાપાર્ક ની ઉતર દીવાલ નજીક રૂકસાનાની લાશ દાટી દીધી હતી.

આરોપીઓએ હત્યાના પુરાવાઓનો નાશ કરવા બલેનો કારમાંથી લોહીના ડાઘ ભૂંસી નાખ્યા હતા. સીટ કવર સળગાવી નાખ્યા હતા. રૂકસાનાનો મોબાઇલ જાવેદે પોતાના મિત્ર સાજીદ દાઉદ ખલીફાને આપી દીધો હતો. રૂકસાના ની હત્યા બાદ પતિ ઇસ્માઇલે તે જીવતી છે એવી એલીબી ઉભી કરી હતી. રૂકસાનાનો મોબાઈલ ફોન લઈનેઙ્ગ સાજીદે અમદાવાદ થી રૂકસાનાના પરિવારજનોને ફોન કર્યો હતો કે તે અને રૂકસાના પ્રેમ માં હતા અને ભાગી ગયા છે. ત્યારબાદ રૂકસાનાનો મોબાઈલ કાલુપુર રેલવે સ્ટેશને ફેંકી દીધો હતો. ત્યારબાદ સાજીદ અને તેની પત્ની સાયમાં અજમેર શરીફ ગયા હતા ત્યાં તેમણે અજમેર શરીફ હોટેલ માં રૂકસાનાનું ખોટું આઈ કાર્ડ આપ્યું હતું. અજમેર શરીફથી સાયમાએ રૂકસાનાના પતિ ઇસ્માઇલ ઉર્ફે માલાને અને રૂકસાનાના ભાઈ ઇકબલને મોબાઈલની દુકાનેથી ફોન કર્યો હતો. જોકે, દરમ્યાન રૂકસાના નહીં મળતા તેની હત્યા કરાઈ છે એવી જાણ લોકોને થઈ જશે એવી બીક લાગતા ઇસ્માઇલે અન્ય આરોપી મામદ ઓસમાણ કુંભારની મદદથી આયેશાપાર્કમાંથી લાશ કાઢીને સીમંધર સીટીમાં અરવિંદસિંહ જાડેજાના મકાનના ચાલતા કામમાં પુરની અંદર નાખી તેની ઉપર કોન્ક્રીટ કરી નાખ્યું હતું. એલસીબી ટીમે તે કોન્ક્રીટ ખોદીને તેમાંથી રૂકસાનાના લાશના પુરાવાઓ મેળવ્યા છે. મૃતક રૂકસાનાના અસ્થિ પોલીસે વધુ તપાસ માટે ફોરેન્સિક લેબમાં મોકલ્યા છે.

 

(11:58 am IST)