Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

'પદમશ્રી' ભીખુદાન ગઢવી, શાહબુદીન રાઠોડ સાહિત્ય-સંતવાણી રજુ કરશે

પૂ.મોરારીબાપુનાં હસ્તે કવિ કાગબાપુ એવોર્ડ અર્પણ વિધી કાર્યક્રમઃ 'કાગના ફળિયે કાગની વાતુ'નું આયોજન

સ્વ.ગીગાભાઇ બારોટ, સ્વ.મનુભાઇ ગઢવી, બળવંતભાઇ જાની, યોગેશભાઇ ગઢવી (બોક્ષા), કાશીબેન ગોહિલ, નાહરસિંહ જસોલને એવોર્ડ અપાશે

ભાવનગર-કુંઢેલી, તા.૨૦: પ્રતિવર્ષ પુજય કાગબાપુની પાવન ભુમી કાગધામ (મજાદર) ખાતે કાગબાપુની પુણ્યતિથિ (કાગ ચોથ), ફાગણ સુદ ચોથના દિવસે પુજય મોરારીબાપુની નિશ્રામાં વિવિધ કાર્યક્રમ યોજાય છે. જેમાં 'કાગના ફળિયે કાગની વાતું', કવિ કાગબાપુ એવોર્ડ અર્પણવિધિ અને કચ્છ-કાઠિયાવાડ ગુજરાતના નામી- અનામી કલાકારો દ્વારા કાગવાણી પ્રસ્તુતિ થાય છે.

ચાલુ વર્ષ પૂજય કાગબાપુની ૪૪ મી પુણ્યતિથિ નિમિતે ઘોષિત થયેલ કાર્યક્રમ મુજબ તા. ૧૭.૦૩.૨૦૨૧ના બપોરે ૩ થી સાંજના ૬ સુધી પુજય મોરારીબાપુના સાનિધ્યમાં 'કાગ ના ફળિયે કાગની વાતું' વિષય અંતર્ગત પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી અને શ્રી શાહબૂદીનભાઈ રાઠોડ વકતવ્ય પ્રસ્તુત થશે. આ કાર્યક્રમનું સંકલન ચારણી સાહિત્ય ,સંતવાણી અને લોક સાહિત્યના મર્મજ્ઞ ડો. બળવંત જાની સાંભળશે.

રાત્રીના સાડા આઠ કલાકે કાગ પરિવાર દ્વારા સહુ મહેમાનોનું સ્વાગત થશે. રાત્રે ૯ કલાકે પુજય પ્રેરિત પુ. મોરારીબાપુ ના વરદ હસ્તે પ્રતિવર્ષ અપાતા કવિ કાગ એવોર્ડની પરંપરામાં આ વર્ષ દિવંગત સ્વ ગીગાભાઈ બારોટ ( ડોળીયા) ,સ્વ મનુભાઈ ગઢવી (મુંબઇ ) , સંશોધનના સંદર્ભમાં શ્રી બળવંતભાઈ જાની(રાજકોટ ), લોકસાહિત્યના પ્રસ્તુતકર્તા શ્રેણી નો એવોર્ડ શ્રી યોગેશભાઈ ગઢવી (બોક્ષા) , સ્ટેજ કાર્યક્રમ સંદર્ભમાં શ્રીમતી કાશીબેન ગોહિલ (ભાવનગર ) તથા રાજેસ્થાની સાહિત્યમાં પ્રદાન કરનારને અપાતો એવોર્ડ આ વર્ષ રાજસ્થાન સાહિત્યમાં પ્રદાન કરી રહેલા શ્રી નાહરસિંહ જસોલ (તેમાવાસ) ને આ વર્ષનાં કવિ કાગ એવોર્ડ અર્પણ થશે.

એવોર્ડ અર્પણ બાદ પુજય મોરારી બાપુનો પ્રાસંગિક વકતવ્ય રહેશે. રાત્રી ના દસ કલાકે કાગવાનીની પ્રસ્તુતિ થશે. આ પ્રસંગે પદ્મશ્રી કવિ કાગબાપુ ટ્રસ્ટ દ્વારા સહુ ભાવકોને પધારવા નિમંત્રણ પાઠવેલ છે.

નોંધાવનાર સૌ વ્યકિતએ સરકારશ્રીની કોરોના ગાઈડ લાઈન પ્રમાણે જ માસ્ક ફરજીયાત પહેરી ને આવવાનું રહેશે..પુરો સહકાર આપવા વિનંતી છે... તેમ યાદીમાં જણાવાયુ છે.

(11:47 am IST)