Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

જસદણમાંથી ગુમ અશોકભાઈ ઢોલરીયાની આટકોટ રોડ પર શાળા પાસેથી લાશ મળીઃ આપઘાતની શંકા

ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા અશોકભાઈ ત્રણ દિવસ પહેલા લાપત્તા થયા'તાઃ પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં આક્રંદઃ કારણ અકળ

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ, તા. ૨૦ :. જસદણના આટકોટ રોડ પર આવેલી શાળા પાસેથી ત્રણ દિવસથી ગૂમ થયેલા યુવાનની લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ જસદણના ગંગાભુવન વિસ્તારમાં રહેતા મૂળ સાજડીયાળી ગામના અને છૂટક ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા પટેલ અશોકભાઈ રવજીભાઈ ઢોલરીયાની લાશ આટકોટ રોડ પરની એક શાળા પાસે મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૃ કરેલ છે.

અશોકભાઈ ગત તા. ૧૭થી લાપત્તા હતા. આ અંગે તેમના પરિવારજનોએ ગુમની પોલીસ મથકમાં જાણ કરી હતી. તેમની આજે સવારે લાશ મળી આવતા ઢોલરીયા પરિવારમાં આભ ફાટી પડયુ હતુ અને તેમની એક નવ વર્ષની પુત્રી પિતા વિહોણી થઈ ગઈ હતી. આ બનાવમાં યુવાને આત્મહત્યા કર્યાની પોલીસે શંકા વ્યકત કરી તેના મૃત્યુ પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

(11:16 am IST)