Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

કાલે વડાપ્રધાન મોદી સોમનાથ ખાતે 30.55 કરોડના ખર્ચે નવનિર્મિત અતિથિગૃહનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવશે

મુખ્યમંત્રી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે: માર્ગ અને મકાન તથા પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશ મોદીની ઉપસ્થિતિમાં ઉદઘાટન સમારોહ યોજાશે

સોમનાથ :પ્રધાનમંત્રી મોદી ભારત વર્ષના આસ્થા કેન્દ્ર સોમનાથમાં  રૂ. 30.55 કરોડના ખર્ચે નવનિર્મિત અતિથિગૃહનો વર્ચ્યુલી પ્રારંભ કરાવશે. સોમનાથમાં માર્ગ અને મકાન તથા પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશ મોદીની ઉપસ્થિતિમાં ઉદઘાટન સમારોહ યોજાશે.નવનિર્મિત સરકીટ હાઉસ ખાતેથી અરબી સમુદ્ર અને સોમનાથ મંદિર પરિસરનો નજારો માણી શકાશે

પ્રધાનમંત્રી મોદી ભારત વર્ષના આસ્થા કેન્દ્ર ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અને અરબી સમુદ્રના કિનારે રૂ. ૩૦.૫૫ કરોડના ખર્ચે નવનિર્મિત અતિથિગૃહનો વર્ચ્યુલી પ્રારંભ કરાવશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે. ઉપરાંત સોમનાથ ખાતે રાજ્ય સરકારના માર્ગ અને મકાન તથા પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશ મોદીની ઉપસ્થિતિમાં તા.21-01-2022ના રોજ સવારે 10 કલાકે આ ઉદ્ધઘાટન સમારોહ યોજાશે.

આ આલીસાન ચાર મંજિલા અતિથિ ગૃહ કુલ પ્લોટ 15000 ચો.મી. એરીયામાં ફેલાયેલ છે. જેનો કુલ કાર્પેટ એરિયા ૭૦૭૭.૦૦ ચો.મી. છે. અધ્યતન સુવિધા સાથેના આ સરકીટ હાઉસમાં ૨ વીવીઆઈપી સ્યુટ રૂમ, ૮ વીવીઆઈપી રૂમ, ૮ વીઆઈપી રૂમ, ૨૪ ડીલક્ષ રૂમ સાથે કિચન, જનરલ અને વીઆઈપી ડાઈનીંગ, સ્ટોર રૂમ, કોન્ફરન્સ રૂમ અને ૨૦૦ લોકોને સમાવતો ઓડીટોરીયમ હોલ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ સરકીટ હાઉસ ખાતેથી અરબી સમુદ્ર અને સોમનાથ મંદિર પરિસરનો નજારો માણી શકાશે.

રાજ્યના માર્ગ અને મકાન તથા પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશ મોદી ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે આવનાર છે. મંત્રી સોમનાથ મંદિર પરિસર સમીપના સમુદ્ર દર્શન વોક-વે ખાતે આજે તા.૨૦-૦૧-૨૦૨૨૦ના રોજ સાંજે ૦૭ કલાકે આયોજિત મશાલ સાથેની મહાઆરતીમાં જોડાયા. જેમાં દરિયા કિનારે ૫૦ હોડીમાં મશાલ સાથે ભગવાન સોમનાથ મહાદેવની મહાઆરતી કરવામાં આવી. આ પ્રસંગે નામી કલાકારો પણ પોતાની પ્રસ્તુતિ રજૂ કરાઇ. આ પૂર્વે સાંજે પ કલાકે સોમનાથ ટ્રસ્ટ અને સંબધિત અધિકારીઓ સાથે યાત્રાધામ સોમનાથના વિકાસના કામોની સમીક્ષા કરી. ઉલ્લેખનીય છે કે, આ મહાઆરતી કોવિડ-૧૯ની માર્ગદર્શિક મુજબ મર્યાદિત લોકોની ઉપસ્થિતિમાં યોજાયો.

આ સાથે માર્ગ અને મકાન તથા પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશ મોદી તા.૨૧-૦૧-૨૦૨૨ ના રોજ વહેલી સવારે ભગવાન સોમનાથ મહાદેવનું પૂજન અર્ચન કરશે. ત્યાર બાદ સોમનાથ મંદિરમાં પરિસરમાં આવેલ વીર હમીરજી ગોહિલ અને સરદાર પટેલની પ્રતમાને પુષ્પાંજલી અર્પણ કરશે.

(12:17 am IST)