Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

ભાવનગરના શિક્ષકનો પતંગની દોરીએ જીવ લીધો

નાની જાગધાર પ્રાથમિક શાળાના શિક્ષક વિનોદ કાનજીભાઇ જેઠવાના મોતથી અરેરાટી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૦ : 'ન જાણ્યું જાનકી નાથે સવારે શુ થવાનું છે.' આ પંકિત ને ચરિતાર્થ કરતી દુઃખદ ઘટનાઓ લગલગાટ તળાજા પંથકમાં બની રહી છે. જેમાં  મહુવાના નાની જાગધાર ગામના શિક્ષક તળાજા નજીક પહોંચવા આવ્યા તે સમયે પતંગની દોરી ગળામાં આવી જતા મોટાભાગનું ગળું જ કપાઈ જતા યુવાન શિક્ષકનું કમકમાટીભર્યું મોત નિપજેલ હતું.

અરેરાટી ઉપજાવતા બનાવ ની મળતી વિગતો મુજબ ભાવનગર શહેર ના ઘોઘારોડ પરની અખિલેશ સોસાયટી ખાતે રહેતા અને દાઠા પોલિસ તાબાના નાનીજાગધાર ગામે પ્રા.શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વિનોદભાઈ કાનજીભાઈ જેઠવા ઉ.વ.૩૩ ભાવનગર તરફ થી તળાજા આવી રહ્યા હતા. વેળાવદર બાયપાસ બનેલ રોડ પરથી તેઓ પોતાનું ડયૂત બાઈક નં.જીજે-૦૪-ડીએફ ૪૭૮૧ લઈ પસાર થતા હતા. સાંજે આશરે છએક વાગ્યાના સુમારે અચાનક ગળામાં પતંગની દોરી સલવાઈ જતા બાઈકની સ્પીડ અને ધારદાર દોરીના કારણે ગળાના ભાગે ગંભીર ઇજા થયેલ. તળાજા ૧૦૮ દ્વારા અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જયાં ફરજ પરના ડોકટરે ગળું કપાઈ જવાથી મોત નિપજયાનું પ્રાથમિક જણાવ્યું હતું.

શિક્ષક એકલાજ હોય તેઓની પાસે રહેલ કીટબેગમાંથી તેમના આધાર કાર્ડ અને બે મોબાઈલ હોય સેવાભાવી યુવક વિજય ધાંધલીયાએ સંબધિતને જાણ કરતા ઓળખ પાકી થઈ શકી હતી. મૃતક શિક્ષકના પત્નિ દાઠા પિયર ધરાવે છે અને તેઓ દાઠા આરોગ્ય વિભાગમાં નોકરી કરે છે.

બનાવના પગલે તળાજા હોસ્પિટલ ખાતે પાલિકા પ્રમુખ વિનુભાઇ વેગડ, શિક્ષકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા.

(11:06 am IST)