Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

સુરેન્દ્રનગરમાં મિત્રના હાથે મિત્રની હત્યા

 વઢવાણ તા.૧૯: સુરેન્દ્રનગરના પતરાવાળી વિસ્તારમાં દારૂના નશામાં મિત્રના હાથે મિત્રની હત્યા થતા ખળભળાટ મચી ગયો છે. મૃતદેહને ફોરેન્સીક રિપોર્ટ માટે રાજકોટ સિવીલ હોસ્પિટલમાં ખસેડાયો છે. સુરેન્દ્રનગર વાદીપરા વિસ્તારમાં આવેલા એન.ટી.એમ હાઇસ્કૂલ ચોકમાં હનુમાનજીની ડેરી પાસે બે દેવીપૂજક શખ્સો વચ્ચે કોઇ બાબતે ઝઘડો થયા બાદ એક મિત્રે બીજા મિત્રની તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી હત્યા નીપજાવી હતી.

વાદીપરા વિસ્તારમાં એન.ટી.એમ હાઇસ્કૂલ ચોકમાં હનુમાનજી મંદિરની ડેરી પાસે બે રખડતું-ભટકતું જીવન જીવતા દેવીપૂજક શખ્સો વચ્ચે બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો. જેમાં નરેશ ઉર્ફે રાણા પાલજી (રહે.સોમાસર ગામ, તાલુકો મુળી)ને તેના મિત્ર અનિલ ઉર્ફે કાળુ રમણ મકવાણા (રહે.જોરાવનગર)એ ઝઘડો કર્યા બાદ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં ગંભીર ઇજા થવાની મુળીના દેવીપૂજક શખ્સનું ઘટના સ્થળે મૃત્યું નિપજ્યું હતું. હત્યા નિપજાવી અનિલ મકવાણ નાશી છૂટ્યો હતો. સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકના પી.આઇ. કે.આર. ત્રિવેદીએ હત્યા અંગેનો ગુનો નોંધી મૃતકની બોડીને પી.એમ.અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડી હતી.

(1:10 pm IST)