જૂનાગઢ તા. ૧૯ : જૂનાગઢ જિલ્લામાં ખાસ કરીને માણાવદર, કેશોદ, મેંદરડા અને વંથલી તાલુકામાં ભારે વરસાદ થતાં જુનાગઢ જિલ્લાના ઘેડ વિસ્તારના અનેક ગામોમાં પાણી ફરી વળતા જુનાગઢ જિલ્લા તંત્રએ આજે વાડી વિસ્તારમાં સફાયેલા અંદાજે ૧૫ થી ૩૦ લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે. જિલ્લા કલેકટર ડાઙ્ખ.સૌરઘ પારઘીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં ભારે વરસાદના પગલે રાહત બચાવ માટે એન.ડી.આર.એફ.ની એક ટીમ બોલાવવામાં આવી છે. સ્થાનિક કચેરીઓની ટીમે માણાવદર અને કેશોદ તાલુકામાં ચાલુ વરસાદમાં ગામડાઓમાં જઇને લોકોને સલામત સ્થળે ખસેડયા છે. માણાવદરમાં ૨૨૫ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
જુનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાએ તાત્કાલિક જુનાગઢ ખાતે જિલ્લા કલેકટર અને જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક કરી જિલ્લામાં પડેલા વરસાદ અને પૂરગ્રસ્ત વિસ્તારોની માહિતી લઇ રાહત બચાવની કામગીરી માટે માર્ગદર્શન આપ્યું હતું.
શ્રી જયેશભાઇ રાદડીયાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં પરિસ્થિતિ કાબુમાં છે. તંત્રએ આગોતરૂ આયોજન કરી જે તે ગામના સરપંચ અને તલાટી મંત્રીનો સંપર્ક કરીને જે ગામમાં પાણી ભરાયા છે અને લોકો ફસાયા છે તેમની માહિતી એકત્ર કરીને તેમને બહાર કાઢવાની સફળ કામગીરી હાલ ચાલુ છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ એક કુદરતી આપત્ત્।ી છે. તંત્રએ ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે ઘણી મહેનત કરી છે. તેઓએ પાણીમાં ઘેડ વિસ્તારમાં લોકોને બચાવવા માટે કાર્યરત ૫૦થી વધુ કર્મચારીઓ, હોમગાર્ડ જવાનો, પોલીસ અને રેવન્યુ કર્મચારીઓની ટીમને પ્રોત્સાહિત કરી જે ગામમાં પાણી હોય ત્યાં હજુ વરસાદની આગાહી હોવાથી લોકોને સાવચેત રહેવા સમજાવવા માર્ગદર્શન આપ્યું હતું.
માણાવદરના નિચાણવાળા વિસ્તારો જેવા કે, વાદીવાસ વિસ્તાર અને માણાવદર એસ.ટી. ડેપો પાછળના વિસ્તારના કુલ ૨૨૫ લોકોનું સ્થાળાંતર કરવામાં આવ્યું છે. માણાવદર નગરપાલિકાના ટ્રેકટરમાં લોકોને બેસાડીને સલામત સ્થળે લઇ જવામાં આવ્યા હતા. લોહાણા મહાજન વાડીમાં કુલ ૭૫ વ્યકિતઓને રાખવામાં આવ્યા છે અને સતવારા સમાજમાં ૧૫૦ વ્યકિતઓને સ્થળાંતર કરવામાં આવ્યા છે.
કેશોદનાં મઢડા ગામે સીમમાં ૧૫ થી વધુ લોકો ફસાતા તરવૈયાની ટીમએ રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું છે અને મોટાભાગના લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. કેશોદના ચાંદગઢ ગામની સીમમાં પણ પાણીમાં તરવૈયાઓ અને રેસ્કયુ ટીમના કર્મીઓ ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરી રહ્યા છે.
કેશોદના નાયબ કલેકટરશ્રી રેખાબા સરવૈયાએ જણાવ્યું હતું કે, હજુ સુધી જાન હાનિના કોઇ સમાચાર નથી પરંતુ ફસાયેલા લોકોને સલામત સ્થળે લઇ આવવા માટે કામગીરી કરવામાં આવી હતી. અત્યાર સુધી ઘેડમાં મોસમનો કુલ ૨૫ ઇંચ વરસાદ થયો છે તેમ જણાવ્યું હતું.
માર્ગ અને મકાન વિભાગે હાલ ગામડાના જે ચાર રસ્તા બંધ છે તે શરૂ કરવા માટે તાબડતોબ કામગીરી શરૂ કરી છે. જેમાં, અગતરાઇ-આખા-ટીકર-માણાવદર રોડ, મેંદરડા-લુશાળા, ભેસાણ-પરબવાવડી-ધોળવા-વડીયા રોડ અને મજેવડી-પત્રાપસર-આંબલીયા રોડનો સમાવેશ થાય છે.
ઘેડ વિસ્તારમાં જે ગામો અસર ગ્રસ્ત છે અને તંત્ર દ્વારા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે તેવા ગામોમાં ચાંદિગઢ, મઢડા, મટીયાળા, આંબલીયા, બામણાસા, પંચાળા, સરોળ, સુત્રેજ, કોયલાણા, પાદરડી, બગસરા ઘેડ, મેખડી, લાંગડ, સાંઢા, સરમા, થલીનો સમાવેશ થાય છે.
જૂનાગઢ ખાતે કલેકટર કચેરીમાં મળેલી મીટીંગમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટ પટેલ, શ્રી શશીકાંતભાઇ ભીમાણી, શ્રી ગીરીશભાઇ કોટેચા,શ્રી પુનિતભાઇ શર્મા,ભરતભાઇ શીંગાળા તેમજ મ્યુ.કમિશનર શ્રી પ્રકાશ સોલંકી, ડીડીઓ શ્રી પ્રવીણ ચૌધરી તેમજ પ્રોબેશનલ આઇ.એ.એસ શ્રી ગંગાસિંહ અને અધિક કલેકટર શ્રી પી.વી.અંતાણી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.(૨૧.૩)