Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

વિસાવદર તાલુકામાં જાતિના- આવકના દાખલા માટે સોગંદનામાની જરૂર નથી

વાલ્મીકી સમાજના અગ્રણી રમેશભાઇની સફળ રજૂઆત

વિસાવદર તા.૧૯: વિસાવદર તાલુકામાં અનુસુચિત જાતી અને જનજાતિના લોકોને જાતિનો કે આવકનો દાખલો મેળવવા માટે તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીમાં ફરજીયાત સોગંદનામું આપવું પડતુ અને આવા દાખલાઓ કઢાવવા માટે ફરજીયાત સોગંદનામું કરવું પડતું જેમાં ગરીબ અરજદારને રૂ. ૫૦૦/- જેટલો ખર્ચ કરવો પડતો.

આ બાબતે વાલ્મીકી સમાજના આગેવાન રમેશભાઇ સોલંકીએ સ્થાનિક તાલુકા વિકાસ અધિકારીશ્રી અને અન્ય અધિકારીઓને આવા દાખલા ફરજીયાત નથી અને સરકારી પરીપત્રમાં પણ આવી જોગવાઇ નથી તેમ સ્થાનિક અધિકારીશ્રીઓને જણાવેલ પણ આ બાબતે કોલ નિકાલ ન આવતા છેવટે રમેશભાઇ એ તાલુકા વિકાસ અધિકારીશ્રીને અરજી આપીને જણાવેલ કે જો ૧૦ દિવસમાં આ પ્રશ્નનો નિકાલ નહી કરવામાં આવે તો હું આ પ્રશ્ને આત્મવિલોપન કરીશ અને ૧૦-દિવસ વિત્યા બાદ પણ આ પ્રકરણનો નિકાલ ન આવેલ અને રમેશભાઇ સોલંકીની વિસાવદર પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કરેલ.

ત્યારબાદ ઘનશ્યામભાઇ સાવલીયાની આગેવાની નીચે શામજીભાઇ પરમાર, નાનજીભાઇ રાઠોડ, ડો. કિશોર દાફડા, રમેશભાઇ ભાષા, રમેશભાઇ ગેગડા, મનજીભાઇ સાગઠીયા સહિતના અનેક આગેવાનો દ્વારા તાલુકા પંચાયતનો ઘેરાવ કરી તાલુકા વિકાસ અધિકારીને ઘેરાવ કરી આ પ્રશ્નનોને નિકાલ કરવા દબાણ કરતા તાલુકા વિકાસ અધિકારીએ બે-દિવસમાં કલેકટર સાહેબશ્રીનું માર્ગદર્શન લઇ આ પ્રશ્નનો નિકાલ કરવાની ખાત્રી આપેલ અને માત્ર બે થી ત્રણ દિવસમાંજ કલેકટરશ્રીની કચેરીમાંથી લેખીત બાંહેધરી આપવામાં આવેલ છે કે અનુસુચિત જાતિ અને જનજાતિના દાખલામાં કે આવકના દાખલામાં હવે પછીથી સોગંદનામું આપવાનું રહેતું નથી. આમ વિસાવદર તાલુકાના હજારો ગરીબ પરિવારના લોકોને આવા સોગંદનામા આપવામાંથી રાહત મળેલ છે. તેમ રમેશભાઇ સોલંકીની યાદીમાં જણાવેલ છે.

(9:16 am IST)