Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

ભાવનગર જીલ્લામાં વાવાઝોડાએ ૫ નો ભોગ લીધો

૯ પશુઓના મોત : ૮૬૩૮ ઝુપડા અને કાચા મકાનો તથા ૭૨૫ પાકા મકાનોને નુકશાન

ભાવનગર : તસ્વીરમાં ભાવનગર શહેર અને જીલ્લામાં વૃક્ષો -થાંભલા ધરાશાયી થયા હતા અને રસ્તા બંધ થઇ ગયા હતા. (તસ્વીરઃ  મેઘના વિપુલ હિરાણી -ભાવનગર)

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૯ :  ભાવનગર શહેર અને જિલ્લામાં તાઉતે ચક્રવાતની વ્યાપક અસર થઈ છે. જિલ્લાના દરિયાકાંઠાના મહુવા, દ્યોદ્યા,તળાજા અને ભાવનગર ગ્રામ્ય તાલુકામાં વાવાઝોડાએ વ્યાપક નુકશાન કર્યું છે એમ કલેકટર શ્રી ગૌરાંગ મકવાણાએ જણાવ્યું છે.

કલેકટરશ્રીએ જણાવ્યું કે વાવાઝોડા દરમ્યાન ભારે પવન ફુંકાતા જિલ્લામાં પાંચ લોકોના મૃત્યુ થયા છે.જયારે ૦૯ પશુઓના મૃત્યુ નોંધાયા છે.

વાવાઝોડા દરમ્યાન જિલ્લાના ૭૩૩ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. જે પૈકી ૫૪ ગામોમાં વીજ પુરવઠો પુનઃ શરૂ કરી દેવામાં આવ્યો છે.શિહોરમાં યુદ્ઘના ધોરણે ઓકસીજન પ્લાન્ટમાં વીજ પુરવઠો શરૂ કરી દેવામાં આવ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.

તેમણે જણાવ્યું કે વાવાઝોડાથી જિલ્લાના ૧૪૭ માર્ગો બંધ થયા હતા. જે પૈકી ૧૦૩ માર્ગોને પુનઃ શરૂ કરી દેવામાં આવ્યા છે.

ભાવનગર જિલ્લામાં ૮૬૩૮ ઝૂંપડા,કાચા મકાન અને ૭૨૫ પાકા મકાનોને નુકશાન થયું છે.જયારે ત્રણ સરકારી મકાનોને નુકશાન થયું છે.

જિલ્લામાં વાવાઝોડાના કારણે ૫૨૨૦ વૃક્ષો ધરાશયી થયા હતા. જિલ્લાના મુખ્ય માર્ગો પરના વૃક્ષો દૂર કરવામાં આવ્યા છે.જિલ્લામાં ૧૯૫૦ વીજ થાંભલાઓને નુકશાન થયું છે.

કલેકટરશ્રીએ જણાવ્યું કે જિલ્લાની તમામ ૬૧ કોવિડ હોસ્પિટલોમાં વીજ પુરવઠો યથાવત છે.

ભાવનગર જિલ્લાના બાકી ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે વીજ કંપનીના અધિકારો દ્વારા યુદ્ઘના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.

ભાવનગર જિલ્લામાં ખેતી અને બાગાયતી પાકોને થયેલ નુકશાનની સર્વે કામગીરી શરૂ કરવામાં આવી છે હોવાનું તેમને ઉમેર્યું હતું.

(11:01 am IST)