Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

અમરેલી જિલ્લાના પીપાવાવ પોર્ટ પાસે ધોમધખતા તાપમાં પાણીની તરસ છીપાવવા વનરાજા જંગલ અને વાડી વિસ્‍તાર છોડીને હાઇ-વે ઉપર આવી ચડતા ટ્રાફિકજામ

અમરેલીઃ રાજ્યમાં ગરમીએ માઝા મુકી છે ત્યારે માણસની જેમ મુંગા પશુઓ પણ ત્રાહીમામ પોકારી રહ્યા છે. એકબાજુ બેફામ ગરમી અને બીજીબાજુ પાણીની અછતના કારણે તમે જોયું હશે કે ગામડામાં સ્ત્રીઓ દૂર દૂર સુધી પાણી ભરવા જાય છે. પણ ગરમી એટલી આકરી છે કે પાણીની શોધમાં જંગલના રાજા સિંહને પણ જંગલ છોડી ઠેર ઠેર રખડવું પડે છે.

આવા જ કંઈક દ્રશ્ય સર્જાયા હતા અમરેલી જિલ્લાના પિપાવાવ પોર્ટ ખાતે જ્યારે એક સિંહ પોતાની તરસ છીપાવવા પાણીની શોધમાં ચાલતો ચાલતો જંગલ અને વાડી વિસ્તાર છોડીને પોર્ટના રેવન્યુ વિસ્તારમાં આવી પહોંચ્યો હતો.

અચાનક સિંહ હાઇવે પર આવી ચડતા ટ્રાફિકને થોડીવાર માટે અટકાવી દેવાની ફરજ પડી હતી. પરંતુ કહે છે કે રાજા જ્યાં પણ જાય રાજા જ રહે. તેમ આ સિંહને તો દુનિયાની કંઈ જ પડી ન હોય તેમ ઉભા રહી ગયેલા ટ્રાફિકની બેફિકર પોતાની મસ્તીમાં રોડ ક્રોસ કરી પાસે આવેલ પાણીના સ્ત્રોત પાસે પહોંચી ગયો હતો. જે બાદ અહીં પાણી પીને પરત જંગલ તરફ ચાલ્યો ગયો હતો.

સિંહ જેટલા સમય માટે રોડની પાસે રહ્યો તેટલા સમય સુધી પીપાવાવ પોર્ટ તરફ જતા રોડ પર આવતો-જતો ટ્રાફિક અટકાવી દેવામાં આવ્યો હતો. જોકે આ ઘટના બીજો પણ એક સવાલ ઉભો કરે છે પાણીના અણઘડ અને બેફામ ઉપાયોગ તેમજ આડેધડ વિકાસના કારણે જંગલોના કપાઈ જવાથી ઘટતા જતા પાણીના સ્ત્રોતના કારણે માણસ તો કોઈપણ રીતે પોતાને જોઈતું પાણી ભેગું કરે છે પરંતુ આ અબોલ પશુઓ શું કરશે અને ક્યાં જશે? તો બીજો પ્રશ્ન છે સિંહ અને અન્ય જંગલી પ્રાણીઓ માટે જંગલમાં બનાવવામાં આવતા પાણીના સ્થળો એટલા ઓછા પડ્યા છે કે જેથી પાણીની શોધમાં વન્ય પ્રાણીઓને માનવ વસ્તિ વચ્ચે આવવું પડે છે?

(6:22 pm IST)