Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

પોરબંદર જિલ્લામાં વધુ એક કોવિડ કેર સેન્ટર તથા નવી આરટી-પીસીઆર લેબોરેટરીને મંજૂરી

જિલ્લામાં ઓકસીઝનની અછત નથી તેમજ જરૂરીયાત પ્રમાણે સર્જીકલ ઇન્સ્ટ્રુમેન્ટની કીટસ આવી જશેઃ પ્રભારી મંત્રી જવાહરભાઇ ચાવડાનું કોવિડ-૧૯ સમીક્ષા બેઠકમાં માર્ગદર્શન

(પરેશ પારેખ - સ્મિત પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૯ :.. પ્રભારી મંત્રી જવાહરભાઇ ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયેલી જિલ્લાની સમીક્ષા બેઠકમાં જવાહરભાઇ ચાવડાએ જણાવેલ કે જિલ્લામાં વધુ એક કોવિડ કેર સેન્ટર તેમજ નવી આરટી -પીસીઆર લેબોરેટરીને મંજૂરી અપાઇ છે.

પ્રભારી મંત્રી જવાહરભાઇએ જણાવેલ કે જિલ્લામાં ઓકસીજનની અછત નથી તેમજ ઓકસીઝન માટે જરૂર પ્રમાણેની સજીર્કલ ઇન્સ્ટ્રુમેન્ટની કીટસ બે-ચાર દિવસમાં આવી જશે.

પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને પ્રવાસન તથા મત્સ્યોધોગ મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાની અધ્યક્ષતામાં કોવિડ-૧૯ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકમા પોરબંદર જિલ્લામાં કોવિડ અંતર્ગત થયેલી કામગીરી, હોસ્પીટલમા ઉપલબ્ધ સુવિધાની સમીક્ષા કરવાની સાથે મંત્રીશ્રીએ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પુરુ પાડયુ હતુ.

મંત્રીશ્રીએ પોરબંદર જિલ્લાની જનરલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા, અપાતી સારવાર અને તાત્કાલીક યુધ્ધના ધોરણે થયેલી કામગીરીની વિગતો જાણી કહ્યુ હતું કે, રાજય સરકાર કોરોનાના દર્દીઓની સેવા-સારવાર અને જરૂરીયાત મુજબની દવા મળી તે માટે પ્રતિબધ્ધ છે. રાજય સરકારે કોરોનાના વધેલા કેસો સામે યુધ્ધના ધોરણે કામ કર્યુ છે. સમગ્ર સ્થિતિને પહોંચી વળવા રાજયનું પ્રશાસન- આરોગ્ય સ્ટાફ પણ કટીબધ્ધ છે. મંત્રીશ્રીએ પોરબંદર જિલ્લામાં સરકારની માર્ગદર્શિકા પ્રમાણે કલેકટરશ્રી ડી.એન.મોદીના માર્ગદર્શન અને ડી.ડીઓશ્રી વી.કે અડવાણીના સંકલન તેમજ આરોગ્ય સ્ટાફ, રેવન્યુ સ્ટાફ અને પોલીસ સ્ટાફ સહિત સમગ્ર જિલ્લાની ટીમ દ્રારા થયેલ કામગીરીને આવકારી હતી. મંત્રીશ્રીએ આ સેવાઓને વધારે વિસ્તારવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ.

જિલ્લા વહિવટી તંત્ર દ્રારા તૈયાર કરાયેલ પ્રેઝનટેશન દ્રારા જિલ્લાની કોરોનાની વિગતો આપવામાં આવી હતી. પુરક માહિતીની સિવિલ હોસ્પિટલના ડો. ધર્મેશ પારેખ આપી હતી. પોરબંદર સરકારી હોસ્પિટલમાં રાજય સરકાર દ્રારા નવી RTPCR લેબોરેટરીની મંજુરી મળી છે. બે ચાર દિવસોમાં શરૂ થશે. વધારાની ઓકસિજનયુકત ૫૦ બેડ પણ વધારવામાં આવશે. મંત્રીશ્રીએ આ સુવિધા માટે જરૂરી વ્યવસ્થાઓ પણ સુનિશ્રિત કરી હતી. કોવિડ-૧૯ સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહેલા પોરબંદરના ધારાસભ્યશ્રી બાબુભાઇ બોખીરીયાએ પણ આ તકે જરૂરી સુચનો આપ્યા હતા.

બેઠકમાં કલેકટર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.કે.અડવાણી, જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની, પોરબંદર-છાંયા નગરપાલિકાના પ્રમુખ સરજુભાઇ કારીયા, સીવીલ સર્જનશ્રી ડો. પરમાર સહિત જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર જિલ્લામાં વધુ એક કોવિડ કેર સેન્ટર બનાવાશે અને  પોરબંદર, વનાણા, અડવાણા, કુતિયાણા અને હવે માધવપુરમાં સેન્ટર બનાવવા માટેની તૈયારીઓ પણ ચાલી રહી છે.

જિલ્લામાં કોરોના સામાન્ય અથવા ઓછા લક્ષણ ધરાવતા દર્દીઓને તબીબી દેખરેખ હેઠળ રાખી શકાય અને તેને ઓકસીજનની જરૂર પડે તો હોસ્પિટલમાં સમયસર પહોંચાડી શકાય એ માટે ચાર કોવિડ કેર સેન્ટર તંત્ર અને સંસ્થાઓના સહયોગથી કાર્યરત છે. હવે માધવપુરમાં વધુ એક કોવિડ કેર સેન્ટર બનાવવાનું જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય તંત્રનુ આયોજન છે. પોરબંદર આત્મા સેન્ટર ખાતે હાલ ૫૦, વનાણા ખાતે ૧૦૦, અડવાણા ખાતે ૧૫ અને કુતિયાણા ખાતે ૧૦ આઇસોલેટેડ બેડ રાખેલા છે. માધવપુર આસપાસના દર્દીઓને સુવિધા મળે તે માટે માધવપુરમાં કોવિડ કેર સેન્ટર બનાવવાની તૈયારી ચાલી રહી છે.

(12:55 pm IST)