Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

ડો.ભરત બોઘરા દ્વારા તૈયાર કરેલી જસદણમાં સો બેડની ઓકિસજન

વ્યવસ્થા સાથેની હોસ્પિટલનું સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૧૯:  જસદણના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત ભાજપના ઉપપ્રમુખ ભરતભાઇ બોઘરા અને તેની ટીમ દ્વારા યુદ્ઘના ધોરણે તાત્કાલીક તૈયાર કરવામાં આવેલી કોવીદ સારવારની હોસ્પિટલનું ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલનાં હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

વર્તમાન સ્થિતિમાં ઓકિસજન વ્યવસ્થા ધરાવતા બેડની તંગી હોય લોકોને પડતી મુશ્કેલીને ધ્યાને લઇ જસદણના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત ભાજપના ઉપપ્રમુખ ડો. ભરતભાઇ બોઘરા અને તેની ટીમના આર્થિક સહયોગથી જસદણ શહેરમાં આટકોટ રોડ ઉપર દેવશીભાઇ છાયાણીના હીરાના કારખાનામાં તેમજ જયતા બાપુની જગ્યામાં યુદ્ઘના ધોરણે કામગીરી કરી શરૂ કરવામાં આવી હતી. જેનું ઉધ્ઘાટન ગુજરાત ભાજપના પ્રમુખ સી. આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપ પ્રમુખ સીઆર પાટીલે આ સેવાકીય કાર્ય બદલ ડોકટર ભરતભાઇ બોઘરા અને તેની ટીમને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે ઓછા સંક્રમિત લોકોએ આઇસોલેશન સેન્ટરમાં રહેવું જોઈએ. આ ઉપરાંત વેકિસન લેવા ઉપર તેમણે ભાર મૂકયો હતો. અન્ય વિકસિત દેશોમાં કોવિદની પરિસ્થિતિમાં લોકો માત્ર સરકાર ઉપર આધાર રાખે છે જયારે આપણા દેશમાં સરકાર તેમજ એનજીઓ સેવા માટે આવા સેન્ટર તૈયાર કરીને લોકોની સેવા કરી રહ્યા છે તેથી જ આટલી વિશાળ વસ્તી હોવા છતાં અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં મૃત્યુ આંક ઓછો છે. ગુજરાત ભાજપના ઉપપ્રમુખ અને જસદણના પૂર્વ ધારાસભ્ય ભરતભાઇ બોઘરા એ જણાવ્યું હતું કે આ હોસ્પિટલમાં વીસ ડોકટર, ૪૦ નો નર્સિંગ સ્ટાફ, ફાર્મસીસ્ટ, વોર્ડ એટેન્ડન્ટ, સફાઈ કામદાર સહિતની ટીમ સતત કાર્યકર કાર્યરત રહેશે. કોઈ દર્દીને વધારે મુશ્કેલી હોય અને જસદણ થી રાજકોટ રિફર કરવાના થાય તો તેના માટે ઓકિસજનની વ્યવસ્થા સાથેની બે એમ્બ્યુલન્સ સતત હાજર રહેશે. જરૂર પડ્યે હજુ વધારે ઓકસીજન ના બેડ વધારવામાં આવશે. જસદણનાં ડો. પંકજભાઈ કોટડીયાની આગેવાની હેઠળ ડો. દીપક રામાણી, ડો. ભરત ભેટારિયા, ડો. સરધારા, ડો. કેતન પટેલ, ડો. બડમલિયા, ડો.ભૂવા સહિતના કુલ ૧૯ ડોકટરોની ટીમ સારવાર કરશે. તમામ દર્દીઓને ફ્રુટ જયુસ, ચા પાણી નાસ્તો, બંને ટાઇમ સાત્વિક અને પૌષ્ટિક ભોજન, મિનરલ બોટલનું પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. જરૂર પડ્યે લેબોરેટરી રીપોર્ટ, સીટી સ્કેન સહિતની તમામ વ્યવસ્થા જસદણની ખાનગી લેબમાં આ હોસ્પિટલ દ્વારા ખર્ચ ભોગવીને કરવી દેવામાં આવશે. ઉધ્ઘાટન સમારોહમાં રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા, મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બોદર, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા, મહામંત્રી મનસુખભાઈ રામાણી, પીઢ અગ્રણી અશોકભાઈ મહેતા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ડો. ભરતભાઇ બોઘરાએ જણાવ્યું હતું કે જસદણ વિસ્તારનું તેમના ઉપર રૂણ હોય તેને ધ્યાને લઇને તેમજ આ મહામારીમાં આ વિસ્તારના લોકોને ઓકિસજન સહિતની અદ્યતન મેડિકલ વ્યવસ્થા મળી રહે તે મારી નૈતિક ફરજ હોઇ તેના ભાગ રૂપે તેમના દ્વારા રૂપિયા એકાવન લાખ રૂપિયા આપીને આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

(12:14 pm IST)