Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

મોદી સરકાર ઉદ્યોગપતિઓની છે,પણ કોંગ્રેસની સરકાર યુવાનોની, કિસાનોની મહિલાઓની અને ગરીબોની હશે-રાહુલ ગાંધી

સભામાં ૧૦ હજારથી વધુ જનમેદની, બે કલાક મોડા આવેલા રાહુલ ગાંધીને સાંભળવા લોકો શાંતિથી બેઠા રહ્યા

 ભુજ, તા.૧૯: કચ્છ મોરબી લોકસભા બેઠકના મતદાનને હવે ગણત્રીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે પ્રચારના આ આખરી તબક્કામાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીના કચ્છ પ્રવાસે રાજકીય હલચલ સકર્જી છે. કચ્છ કોંગ્રેસ દ્વારા આયોજિત આ જાહેરસભામાં ૧૦ હજાર થીયે વધુ જનમેદની ઉમટી પડી હતી. રાહુલ ગાંધી બે કલાક મોડા પડ્યા તેમ છતાંયે હજારોની ભીડ શાંતિ પૂર્વક રાહુલ ગાંધીને સાંભળવા બેસી રહી હતી. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, અહેમદભાઈ પટેલે કચ્છ સાથે સ્વ. રાજીવ ગાંધી, શ્રીમતી સોનિયા ગાંધીના કચ્છ સાથેના સંસ્મરણો તાજા કર્યા હતા.

અહેમદભાઇ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી હવે માજી થઈ જશે અને તેમને કલાકાર ગણાવ્યા હતા. નામદાર અને કામદાર વિશે વ્યંગ કરતા અહેમદ પટેલે નરેન્દ્રભાઇ મોદીએ દેશને બરબાદ કર્યા હોવાનું જણાવ્યું હતું. તેઓ પાંચ દિવસ પણ વડાપ્રધાન રહેવાને લાયક નથી. કચ્છમાં નર્મદાનું પાણી પહોંચ્યું નથી, માત્ર ઉદ્દઘાટનો થયા છે, કોંગ્રેસ બેરોજગારોને રોજગારી આપશે. કોંગ્રેસ ગરીબોને મદદ કરવા ઈચ્છે છે તેનો વિરોધ નરેન્દ્ર મોદી શા માટે કરે છે. નોટબંધીનું સ્કેમ જુવો મોટામાં મોટો ભ્રષ્ટાચાર છે. તેમને કચ્છનું રણ શા માટે ગમે છે? વ્યંગ કરતા અહેમદભાઇ પટેલે જણાવ્યું હતું કે હું કારણોમાં જવા માંગતો નથી. કોંગ્રેસ આતંકવાદીઓ સાથે ઇલુ ઇલુ કરે છે તો તમે શું કરો છો? આક્રમક સુરે અહેમદ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસે દેશ માટે બલિદાન આપ્યા છે. તમે નવાઝ શરીફ ની બીરિયાની ખાધી છે.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે નરેન્દ્રભાઇ મોદીએ ૧૫ લાખ રૂપિયાનું જુઠાણું ચલાવ્યું પણ અમે દર વર્ષે પાંચ કરોડ ગરીબોને દર વર્ષે ૭૨ હજાર રૂપિયા આપીશું. મોદીએ ઉદ્યોગપતિઓનું ૩ લાખ ૫૦ હજાર રૂપિયા લેણું માફ કર્યું. અમે એ રૂપિયા ગરીબોને આપીશું. નરેન્દ્રભાઇ મોદીએ નોટબંધી અને ગબ્બરસિંઘ ટેકસ નાખ્યો મહિલાઓ અને નાના વ્યાપારીઓ, મજદૂરો પરેશાન થયા. તેમણે ઉદ્યોગપતિઓને લાઈનમાં ઉભા રાખવાને બદલે તેમને જમીન, પાણી, એરપોર્ટ તેમ જ બેંકોના રૂપિયા આપી દીધા. નોટબંધી, જીએસટી ના કારણે લોકો પાસે થીં પૈસા છીનવાઈ ગયા અને ખરીદશકિત દ્યટી એટલે મંદી આવી પરિણામે કારખાના બંધ થયા. અમે ન્યાય યોજના દ્વારા જે પૈસા આપીશું તેના કારણે લોકોની ખરીદ શકિત વધશે. કોંગ્રેસ ૨૨ લાખ યુવાઓને સરકારી અને ૧૨ લાખ યુવાઓને પંચાયતો માં નોકરી આપશે. ખેડૂતોની જમીન ઉદ્યોગોને આપવા માટે નરેન્દ્રભાઇ મોદીએ જમીન અધિકરણ બીલમાં ફેરફાર કર્યો. નરેન્દ્ર મોદી અને અમિત શાહ જમીનના મોટા ભ્રષ્ટાચારી છે. ગરીબોને આપવાના પૈસા અનિલ અંબાણી જેવા ચોર ઉદ્યોગપતિઓ પાસે થી આવશે. આજે ભારતનો ખેડૂત ડરેલો છે. કોંગ્રેસ અલગ થી કિસાન બજેટ રજૂ કરશે. કિસાન બજેટમાં ખેડૂતો માટે કલ્યાણકારી યોજનાઓ હશે. અનિલ અંબાણી, વિજય માલિયા, નીરવ મોદી, મેહુલ ચોકસી જેવા ઉધોગપતિઓ બેંકોની લોન ભરતા નથી તેમને કઇ કરતું નથી પણ ખેડૂતોને જેલમાં જવું પડે છે. જો કોંગ્રેસની સરકાર આવશે તો કોઈ પણ ખેડૂતને લોન નહીં ભરવા માટે જેલ નહીં થાય. યુવાનોને ધંધો કરવા માટે કોંગ્રેસની સરકાર લોન આપશે, ત્રણ વર્ષ સુધી કોઈ ટેકસ નહીં હોય પણ યુવાનોને મજૂરીની પણ જરૂર નથી. અમારી લડત ગરીબી સામે છે. લોકસભા બેઠકના ઉમેદવાર નરેશ મહેશ્વરીએ પ્રાસંગીક પ્રવચન કરતા મોરબી કચ્છ ના પ્રશ્નોને વાચા આપવા ખાત્રી આપી હતી. આ પૂર્વે મહેશ ઠકકર, શિવજીભાઈ આહીર, ઉષાબેન ઠકકર, જુમા રાયમા, વાલજી દનીચા, વી. કે. હુંબલ, ભચુભાઈ આરેઠીયા, આદમ ચાકી, નવલસિંહ જાડેજા, ખુરશીદ સૈયદ, હીરાભાઈ જોટવા સહિતના આગેવાનોએ પ્રાસંગીક પ્રવચનો કરતા ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. જોકે, સૌ કોંગ્રેસી આગેવાનોએ ૭૨ હજારની મદદ વાળી ન્યાય યોજનાની વાત કરી હતી. દુષ્કાળ, અછત અને નર્મદાના પાણીના મુદ્દાઓ પણ ભાષણમાં ચમકયા હતા. આ જાહેરસભામાં કોંગ્રેસના આગેવાનો અહેમદ પટેલ, રાજીવ સાતવ, અમિત ચાવડા ,મોરબી કચ્છ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરી, જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્યો બ્રિજેશ મેરજા, સંતોકબેન પટેલ, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, વરિષ્ઠ આગેવાનો કચ્છ લોકસભા બેઠકના પ્રભારી ખુરશીદ સૈયદ, કચ્છ બેઠક ઉપર ઉમેદવારના ચુસ્ત ટેકેદાર નવલસિંહ જાડેજા, ઉષાબેન ઠકકર, આદમ ચાકી, જુમા રાયમા, તુલસી સુઝાન, શિવજીભાઈ આહીર, વાલજી દનીચા, સલીમ જત, પ્રદેશમંત્રીઓ રવિન્દ્ર ત્રવાડી, અરજણ ભુડિયા, ભરત ઠકકર, રફીક મારા, કલ્પનાબેન જોશી, ચેતન જોશી,કાર્યક્રમનું સંચાલન પ્રદેશ આગેવાન લાલજી દેસાઈ, રફીક મારાએ કર્યું હતું. મીડીયાની વ્યવસ્થા દિપક ડાંગર, ઘનશ્યામસિંહ ભાટી, ડો. રમેશ ગરવાએ સંભાળી હતી.(૨૩.૭)

(12:39 pm IST)