Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

સ્વાદ પરનો સંયમ મનના સંયમની ચાવી છે : માંડવિયાની પદયાત્રાનો આજે ચોથો દિ'

પાલીતાણા પંથકમાં પદયાત્રાને જબ્બર આવકાર : 'સ્વાદ ત્યાગ' પર છણાવટ કરતા રામ મોરી - રાધા મહેતા

પાલીતાણા પંથકમાં કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા દ્વારા યોજાયેલ ગાંધી વિચારધારા આધારિત પદયાત્રા ત્રીજા દિવસે માયધર, પીંગળી, અનિડા, માંડવડા, ભૂતિયા, શેત્રુંજી ડેમ વગેરે ગામડાઓના માર્ગો પર ફરેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ તા. ૧૯ : કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયા દ્વારા આયોજીત 'ગાંધી મૂલ્યોના માર્ગે પદયાત્રા'નો આજે ચોથો દિવસ છે. ગઇકાલે પદયાત્રાના ત્રીજા દિવસે 'સ્વાદ-ત્યાગ' મહાવ્રત પર યુવા લેખક રામ મોરી અને પ્રખર યુવા વકતા રાધા મહેતાએ સંબોધન કર્યું હતું. યાત્રા માયધાર, પીંગળી, લખાવાડ, અનિડા, માંડવડા, ભૂતિયા, શેત્રુંજી ડેમ વગેરે ગામોમાં ફરી હતી.

ચોથી મહાવ્રત સભા માયધાર ખાતે યોજાઇ હતી. શ્રી રાઘવજીભાઇ ડાભીએ 'સ્વદેશી' વિશે કહ્યું કે, 'સ્વદેશી એટલે દેશ પ્રેમ, દેશ માટેની લાગણી, સ્વદેશી એટલે છેવાડાના માણસને પણ કામ મળી રહે અને એનું ઉત્થાન થાય એ કાર્ય એટલે સ્વદેશી. ગાંધીબાપુ સ્વદેશી બાબતે હિમાયતી હતા કેમકે એમાં દેશના દરેક નાગરિકનું કલ્યાણ હતું.'

સવારે કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયા અને પદયાત્રીઓએ માયધાર ગામ ખાતે પ્રભાતફેરી યોજી અને સ્વચ્છતા અભિયાનમાં ગામ લોકો સાથે શ્રમદાન કર્યું. ત્યારબાદ માયધાર સંસ્થાથી ત્રીજા દિવસની પદયાત્રાનો પ્રારંભ થયો. ગાંધીમૂલ્યોના માર્ગે ચાલનારી આ પદયાત્રા સૌરાષ્ટ્રની ધરતી પર ગાંધી વિચારોને વાગોળતી બુનિયાદી આદર્શોના ભેખધારીઓ પીંગળી ગામે પહોંચ્યા ત્યારે ગામ લોકોએ વિશાળ સંખ્યામાં કેન્દ્રીય મંત્રીશ્રી માંડવિયા અને પદયાત્રીઓનું હર્ષોલ્લાસ સાથે સામૈયું કર્યું.

પીંગળીથી લાખવડ અને લખાવાડથી અનીડા ગામે જ્યારે પદયાત્રા પહોંચી ત્યારે ગામ લોકોએ ભાતીગળ તોરણો આખા ગામમાં બાંધી પદયાત્રીઓ અને મનસુખભાઇનું ભાવભર્યું સ્વાગત કર્યું. અનીડા ગામ ખાતેની મહાવ્રત સભાનો વિષય 'સ્વાગ-ત્યાગ' હતો. સ્વાદ-ત્યાગ વિશે વાત કરતા નેશનલ એવોર્ડ વિજેતા યુવા લેખક શ્રી રામ મોરીએ કહ્યું કે, 'સ્વાદ માત્ર જીભ નહીં જીવ સુધી પ્રસરેલો છે. ગાંધીબાપુ સ્વાદ-ત્યાગ કરતા એ એમની જીદ નહીં એમની તપસ્યા હતી. સ્વાદ સત્તાનો હોય સ્વાદ લાલચનો હોય, સ્વાદ અહંકારનો હોય. સત્તાના સ્વાદમાંથી જ મહાભારત અને રામાયણ સર્જાયો છે. પૂજ્ય બાપુ કહેતા કે સ્વાદ ત્યાગથી મનોબળ મક્કમ થાય છે.'

બીજા વકતા રાધા મહેતાએ કહ્યું કે, 'આ પદયાત્રાના સહભાગી બનીને સમજાય છે કે ગાંધી ચિંધ્યો માર્ગ અને શ્રી મનસુખભાઇ જેવો ધસમસતો પ્રવાહ - ગાંધીગંગા અવિરત રહેશે. સ્વાદેન્દ્રીય પર સંયમ એ મનના સંયમની ચાવી છે. આંતરિક અને માનસિક સુખની શરૂઆત શારીરિક સ્વાસ્થ્યથી છે અને પદયાત્રાનો ભાગ હોવું એ જીવન બદલી નાખનારી ઘટના છે.'

આ પદયાત્રામાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સીરીયલના પ્રોડયુસર આસિતભાઇ મોદી તેમની ટીમ પ્રો. ભીંડે (મંડર ચંદવાડકર) અને પત્રકાર પોપટલાલ (શ્યામ પાઠક) સાથે જોડાયા હતા.

રાત્રે પદયાત્રા શેત્રુંજી ડેમ પહોંચેલ ત્યાં પૂ. બાપુએ આપેલા પાંચમાં મહાવ્રત 'અભય' પર અતુલભાઇ પંડયા, નિયામક શ્રી ગાંધી આશ્રમ (સાબરમતી આશ્રમ) પોતાના વિચારો રજુ કરશે. ત્યારપછી રાત્રી સાંસ્કૃતિક કાર્યક્રમમાં સુપ્રસિધ્ધ ડાયરો કલાકાર ગીતાબેન રબારી દ્વારા કાર્યક્રમ યોજાયો હતો.

આજે રાત્રી સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પાલીતાણા નગર ખાતે અલ્પાબેન પટેલ (ગાયક કલાકાર) અને ઘનશ્યામભાઇ લાખાણી (ડાયરો કલાકાર), ઘેટી ખાતે ગુજરાતમાં સૌપ્રથમ વખત રજુ થઇ રહેલી માનવ કદની 'કઠપૂતળી'નો કાર્યક્રમ, પાંચપીપળા અને વાળુકડ ખાતે ભવાઇ એમ કુલ મળીને અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજાયેલ છે.(૨૧.૮)

(10:38 am IST)