Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

ખાડો બન્યો મોતઃ મોરબી રોડ પર રીક્ષાનું વ્હીલ ખાડામાં પડતા પલ્ટી ગઇઃવૃધ્ધનો જીવ ગયો

જુના જકાતનાકા પાસે બનાવઃ દેવીપૂજક વૃધ્ધના મોતથી પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૧૮ :.. શહેરના ઠેર ઠેકાણે રસ્તા પર ખાડાના કારણે વાહન ચાલકે હેરાન પરેશાન થાય છે. ત્યારે મોરબી રોડ પર રીક્ષાનું વ્હીલ ખાડામાં પડયા બાદ પલ્ટી ખાઇ જતા દેવીપૂજક વૃધ્ધે જીવ ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

મળતી વિગત મુજબ મોરબી રોડ પર આવેલી જય જવાન જય કિશાન સોસાયટીમાં કચ્છી લોહાણાવાડી વાળી શેરીમાં રહેતા દેવીપૂજક વૃધ્ધ ચંદુભાઇ મનજીભાઇ સોલંકી (ઉ.૬૦) ગઇકાલે બપોરે પોતની રીક્ષા લઇને ઘરે આવતા હતા ત્યારે મોરબી રોડ પર રાજેશ મીલ સામે રીક્ષાની પાછળનુ વ્હીલ ખાડામાં પડતા રીક્ષા પલ્ટી ખાઇ જતા વૃધ્ધને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા બાદ વૃધ્ધ રીક્ષા ચાલકને સારવાર માટે સીવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. મૃતક ચંદુભાઇ ચાર ભાઇ બે બહેનમાં નાના હતાં. ચાર પુત્રી અને એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક  વ્યાપી ગયો છે. આ બનાવ અંગે બી. ડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ એન. જે. જાડેજા અને રાઇટર મીતેષભાઇએ તપાસ હાથ ધરી છે.

(10:24 am IST)