Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

મોરબીમાં ભુગર્ભ ગટર ઓવરફલો ! ગટરની ગંદકીથી લોકો ત્રાહિમામ : પાલીકા તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ

રામચોકમાં વગર વરસાદે નદીના વહેણની જેમ વહેતા ગટરના દૂષિત પાણીથી રોગચાળાનો ખતરો : પાલિકા તંત્ર નિંદ્રાધીન!!

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા.૧૮: મોરબી મોરબીના શનાળા રોડ પર આવેલ વાણીજય વિસ્તાર રામચોક પાસે છેલ્લા ઘણા સમયથી ગટરની ગંદકી ઓવરફ્લો થયા કરે છે અને આ ઉભરાતી ગટરની ગંદકીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વગર વરસાદે નદીના વહેણની જેમ ગટરના દૂષિત પાણી વહેતા હોય રોગચાળાનો ભય ઝળુંબી રહ્યો છે.જો કે આવી સ્થિતિ સમગ્ર શહેરમાં જોવા મળી રહી છે છતાં ૫૨ સભ્યોની બહુમતી વાળા ભાજપી શાસકો અધિકારીઓ પાસેથી કામગીરી કરાવી શકતા ન હોવાની છાપ ઉપસી છે.

મોરબીના હાર્દ સમા શનાળા રોડ પર આવેલા રામચોક પાસે દ્યણા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે અને આ ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યાએ માજા મુકતા વગર વરસાદે ગટરના પાણી આ વિસ્તારમાં નદીના વહેણની માફક વહે છે આથી ભારે ગંદકી ફેલાય છે અને મચ્છરોનો ભયંકર ઉપદ્રવ થાય છે. જયાં ગટર ઉભરાઈ છે તે રામચોક પાસેની ગલીમાં ચા-પાનના નાના-નાના ધંધાર્થીઓ ઉભા રહેતા હોય તેમજ હોસ્પિટલો તેમજ અનેક દુકાનો તેમજ રહેણાક વિસ્તાર હોય ગટરની ગંદકીથી સ્થાનિકો તોબા પોકારી ઉઠ્યા છે.આ વિસ્તારમાં ગટરના પાણીનો નિકાલ ન હોવાથી ઉભરાતી ગટરના ગંદા પાણીમાં જ લોકોને ચાલવા મજુબર થવું પડે છે તેથી તંત્ર આ બાબતે યોગ્ય પગલાં ભારે તેવી માંગ ઉઠી છે.

(12:03 pm IST)