Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

ભાવનગર મનપામાં પાંચ ગામ ભળ્યા બાદ સુવિધા નહીં મળતા ગામલોકોએ વેરો ભરવાનો કર્યો વિરોધ

મોતીબાગ ટાઉનહોલમાં એકઠા થઈને પાંચ ગામના લોકો રેલી સ્વરૂપે મનપા પહોંચ્યા

ભાવનગર : શહેર મહાનગરપાલિકામાં ભેળવવામાં આવેલા પાંચ ગામના લોકોને આપવામાં આવેલા વેરાને પગલે વિરોધ શાંત નથી પડ્યો. હજુ એક મહિના પહેલા કોંગ્રેસ અને ગામ લોકોએ કાર્યક્રમ યોજ્યો હતો ત્યાં ફરી ગામલોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

જ્યારે મોતીબાગ ટાઉનહોલમાં એકઠા થઈને પાંચ ગામના લોકો રેલી સ્વરૂપે ભાવનગર મહાનગરપાલિકાએ પહોંચ્યા હતા. જ્યાં પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા. ત્યારે લોકોની માંગ છે કે, વેરા માફી આપવામાં આવે. કારણ કે, 2015થી ગામ ભળી ગયા બાદ આજદિન સુધી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી નથી અને પાંચ વર્ષના વેરાના બિલ એક સાથે આપી દેવામાં આવ્યા છે. જે તદ્દન ગેરવ્યાજબી છે.

શહેરના રુવા,તરસમિયા,સીદસર,નારી અને અકવાડા ગામનો સમાવેશ મહાનગરપાલિકામાં થયા બાદના પાંચ વર્ષમાં ગટર,પાણી અને રસ્તા જેવી સુવિધા ઉભી કરવામાં આવી નથી. તેમજ મનપાએ પાંચ વર્ષના વેરાના બિલ ક્યાં આધારે પકડાવ્યા છે, તેવો સવાલ લોકો કરી રહ્યા છે. લોકોએ રેલી કાઢીને કરેલી રજૂઆતમાં વેરા ભરવા માટે સહમતી દર્શાવી છે. પણ વેરાના બિલ તેમની માંગણી પ્રમાણે ભરવા સહમતી દર્શાવી છે

 . આગામી પાંચ વર્ષમાં પ્રથમ વર્ષે 20 ટકા બાદમાં 30 એમ પાંચ વર્ષે 100 ટકા વેરા લેવા વિનંતી અને માંગ કરવામાં આવી છે. કારણ કે, મનપાની વિકાસના એટલે પ્રાથમિક સુવિધાના કામ કરવામાં પાંચ વર્ષ જશે, તેમ ગામ લોકો જણાવી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે.

(12:05 pm IST)