Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ભાવનગરની કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં વિશિષ્ટ પ્રદર્શન

ભાવનગર તા.૧૮ : શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાખા ખાતે સંસ્થા દ્વારા આગામી તા.૨૬,૨૭,૨૮ ના રોજ પ્રજ્ઞાપંથી અવાજના અજવાળે વિશિષ્ટ પ્રદર્શન યોજાનાર છે.

સંસ્થાના મિડીયા વિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે પત્રકાર પરિષદમાં સંસ્થાના જનરલ સેક્રેટરી લાભુભાઇ સોનાણીએ પત્રકાર મિત્રોને સંબોધતા પ્રદર્શનના આયોજન અંગે વિસ્તૃત માહિતી આપી હતી તેમજ શહેરના મિડીયા વિભાગને પ્રજ્ઞાચક્ષુઓના સર્વાંગી વિકાસ અર્થે યોજાતા કાર્યક્રમોમાં સહભાગી બનવા અપીલ કરી હતી. પ્રજ્ઞાચક્ષુ બાળકોમાં છુપાયેલી સુષુપ્ત શકિતઓને વિકસાવવા તથા આમ સમાજના લોકો પ્રજ્ઞાચક્ષુ લોકોની વિશિષ્ટ આવડતથી પરિચિત થાય તેવા હેતુસર આ પ્રકારનું પ્રદર્શન વર્ષ ૨૦૧૨થી અવિરત રીતે યોજાઇ રહ્યુ છે. જેના પરિણામે પ્રજ્ઞાચક્ષુ અને અન્ય વિકલાંગ લોકોની મદદે આવવા આમ સમાજના લોકો વિચારતા થયા છે.

આ વિશિષ્ટ પ્રદર્શનમાં ૧૭ જેટલા ઝોન ઉભા કરી પ્રજ્ઞાચક્ષુ બાળકોને અપાતુ શિક્ષણ વિવિધ ટોકીંગ સોફટવેરની મદદથી અપાતુ કોમ્પ્યુટરનું શિક્ષણ, વિજ્ઞાનના વિવિધ પ્રયોગો, સાઇન્ટીફીક મસાજ, ગૃહ ઉદ્યોગની તાલીમ, ઇલેકટ્રીક ઉપકરણોને મેન્ટેન કરતા પ્રજ્ઞાચક્ષુ બાળકો હોમ સાઇન્સ અને ગૃહ સુશોભનની તાલીમ મેળવતી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીનીઓની પ્રવૃતિઓ તેમજ રમતગમત અને ઇતર પ્રવૃતિઓનું નિર્દશન આ ૩ દિવસો દરમિયાન સંસ્થાના પટાંગણમાં કરવામાં આવશે.(૪૫.૨)

(12:25 pm IST)