Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

જામનગરમાં જન્માષ્ટમીએ નીકળશે કૃષ્ણ જન્મની વિશાળ શોભાયાત્રા : ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત મટકી ફોડના કાર્યક્રમો

શ્રી 5 નવતનપુરી ધામ, ખીજડા મંદિરથી નીકળનાર કૃષ્ણ જન્માષ્ટમી ની સાર્વજનિક શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ, શિવસેના, પ્રણામી ગ્લોબલ સ્કૂલ, ખોડલધામ, ગાયત્રી શક્તિપીઠ, આહીર સમાજ, ગાયત્રી શક્તિપીઠ સહિતની સંસ્થાઓ વિવિધ ફ્લોટસો જોડાશે

 (મુકુંદ બદીયાણી દ્વારા ) જામનગર :જામનગરમાં શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી આગામી જન્માષ્ટમી નિમિત્તે સાર્વજનિક શોભાયાત્રાનું આયોજન કરાયું છે. આ શોભાયાત્રા દરમિયાન જુદી જુદી સંસ્થાના વિવિધ ધાર્મિક ફ્લોટ્સો સાથે ભક્તિમય માહોલ સર્જાવા અનેરો થનગનાટ છે. જામનગરના મુખ્ય માર્ગો પરથી પસાર થતી સાર્વજનિક જન્માષ્ટમીની આ શોભાયાત્રા દરમિયાન કૃષ્ણ ભક્તિના રંગે રંગાવા માટે લોકો પણ ઉત્સુક છે.

આગામી તા.19, ઓગસ્ટ,2022ના શુક્રવારે જામનગરના શ્રી 5 નવતનપુરીધામ ખીજડા મંદિર ખાતેથી સવારે 9 કલાકે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ ની વિશાળ સાર્વજનિક શોભાયાત્રા પ્રસ્થાન થશે. આ કૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા ખીજડા મંદિર થી પ્રારંભ થઈ હવાઈ ચોક ખાતે પહોંચશે જ્યાં ધજારોહણ અને શોભાયાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવશે ત્યારબાદ આગળ સેન્ટ્રલ બેન્ક રોડ ઉપર પ્રસ્થાન થશે જ્યાં રસ્તા ઉપર પીપળેશ્વર મિત્ર મંડળ દ્વારા સ્વાગત કરી મટકી ફોડ નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાંથી સેન્ટ્રલ બેન્ક પાસે શોભાયાત્રા પહોંચશે એચ જે લાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવશે અને અહીં પણ વિશ્વ હિન્દુ પરિષદના મહિલા વિભાગ, દુર્ગાવાહિની દ્વારા મટકી ફોડ નું આયોજન કરાયું છે. જ્યાંથી શોભાયાત્રા બર્ધન ચોક વિસ્તારમાં પહોંચશે જ્યાં સિંધી માર્કેટ વેપારી એસોસિયેશન દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરી પ્રસાદ વિતરણ કરવામાં આવશે. ત્યારબાદ દરબારગઢથી ચાંદી બજાર સર્કલ ખાતે જન્માષ્ટમીની શોભાયાત્રા પહોંચશે જ્યાં વેપારી મહામંડળના પ્રમુખ સુરેશભાઈ તન્ના અને તેની ટીમ દ્વારા સ્વાગત કરવામાં આવશે અને જ્યાં રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ક્યાંથી શોભાયાત્રા રતનભાઇ મસ્જિદ વિસ્તાર સજુબા સ્કૂલ પાસેથી પસાર થઈ રણજીત રોડ પર પહોંચશે.

આ દરમિયાન પંજાબ નેશનલ બેંક પાસે પૂરબિયા રાજપૂત સમાજ દ્વારા સ્વાગત કરી પ્રસાદી વિતરણ પણ કરવામાં આવશે. ત્યાંથી બેડીગેટ સ્વામિનારાયણ મંદિર પાસે પરમાનંદ સ્ટીલ પાસે પણ પ્રસાદ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાંથી બેડી ગેટ થઈ પણ ટાવર વિસ્તારમાં આ શોભાયાત્રા પહોંચશે. જ્યાં ભરવાડ સમાજ દ્વારા શોભાયાત્રા નું સ્વાગત કરી પ્રસાદ વિતરણ કરવામાં આવશે. ત્યાંથી હવાઈ ચોક તરફ શોભાયાત્રા પ્રસ્થાન કરશે જ્યાં રસ્તામાં ગિરનારી પાન પાસે શોભાયાત્રા નું સ્વાગત અને મટકી ફોડ નું પણ ગિરનારી ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. અને જ્યાંથી ભંગાર બજાર થઈ હવાઈ ચોક ખાતે આ શોભાયાત્રા સંપન્ન થશે.

આ શોભાયાત્રાના આયોજન માટે શ્રીકૃષ્ણમણીજી મહારાજ દ્વારા સૌ ધર્મપ્રેમી નગરજનોને અનુરોધ કરી જણાવ્યું છે કે, ભગવાન કૃષ્ણના જન્મને વધાવવા સૌ પોતાની દુકાન અને રહેણાંક પાસે મંડપ તોરણ દ્વારા સુશોભન કરી શોભાયાત્રા ની ભવ્યતામાં વધારો કરી વાતાવરણ બનાવે અને કૃષ્ણમયી બને તેવું આહવાન કરવામાં આવ્યું છે.
જામનગરમાં નીકળનાર કૃષ્ણ જન્માષ્ટમીની વિશાળ શોભાયાત્રામાં ખીજડા મંદિર, આણદાબાવા સેવા સંસ્થા, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની, માતૃશક્તિ મહિલા વિભાગ, શ્રી પુષ્ટિમાર્ગીય સંપ્રદાય મોટી હવેલી - વ્રજ વલ્લભ સોશિયલ ગ્રુપ, શ્રી કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજ, શ્રી બાઈજીરાજ મહિલા મંડળ, આહિર સમાજ, શ્રી પ્રણામી ગ્લોબલ સ્કૂલ, સમસ્ત ભાટિયા સમાજ, શ્રી ખોડલધામ કાગવડ જામનગર ખોડલધામ યુનિટ, પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ, હરિદાસ જીવણદાસ (બાબુભાઈ) લાલ ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી ગાયત્રી શક્તિ પીઠ, શ્રી હેમંતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ, ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, કચ્છી ભાનુશાળી મહાજન સરોવર, સિંધી ભાનુશાલી મહાજન સરોવર સહિતની વિવિધ સંસ્થાઓ ધાર્મિક ફ્લોટ્સ સાથે સામેલ થશે.

જામનગરમાં શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતે તાજેતરમાં જ કૃષ્ણ જન્માષ્ટમી ની સાર્વજનિક શોભાયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મચાર્યશ્રી 108 કૃષ્ણમણીજી મહારાજના સાનિધ્યમાં મીટીંગ મળી હતી.

 આ મિટિંગમાં વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ભરતભાઈ મોદી, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લાના અધ્યક્ષ ભરતભાઈ ડાંગરીયા, હિન્દુ જાગરણ મંચના ભરતભાઈ ફલીયા, ગાયત્રી શક્તિ પીઠના ચમનભાઈ વસોયા, ખોડલધામ ના વશરામભાઈ ચોવટીયા, એચ. જે. લાલ ચેરીટેબલ ટ્રસ્ટના અજયભાઈ કોટેચા, પ્રો.દિલીપભાઈ આશર, કનકભાઈ વ્યાસ, કિશોરભાઈ સંઘાણી, પોપટભાઈ સોજીત્રા, પ્રહલાદભાઈ શાસ્ત્રી, વિશ્વ હિન્દુ પરિષદના જામનગર જિલ્લાના પ્રચાર પ્રસાર વિભાગના સંયોજક કિંજલભાઈ કારસરીયા, કોર્પોરેટરો પ્રવિણાબેન રુપડીયા, બબીતાબેન લાલવાણી, સિંધી ભાનુશાળી મહાજન ટ્રસ્ટના શંકરભાઈ, મૃગેશ દવે, દિનેશભાઈ કનખરા સહિતના અગ્રણીઓ દ્વારા ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા બનાવવા માટે વિચાર વિમર્શ કરી તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

(1:06 am IST)