Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

'વાયુ' વાવાઝોડું આજે કચ્છના દરિયામાંથી પસાર થઈને રણ દ્વારા બનાસકાંઠા થઈ રાજસ્થાન પહોંચશે- નુક્સાનીની શકયતા નથી,પણ ધાર્યા પ્રમાણે કચ્છમાં વરસાદ નથી : લો પ્રેસર સાથે ગુજરાતમાંથી વાયુનું સંકટ થયું હળવું, જોકે તંત્ર એલર્ટ

ભુજ.: 'વાયુ' વાવાઝોડું છેલ્લા એક અઠવાડિયાથી સમગ્ર ગુજરાત અને કચ્છમાં ચર્ચામાં છે. ગત ૧૨ મી જૂન થી કચ્છ ઉપર શરૂ થયેલી વાયુ વાવાઝોડું ત્રાટકવાની આગાહી તેમ જ છેલ્લે વાયુ વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ ગયા બાદ કચ્છી માડુઓ રાહતનો શ્વાસ લીધો ત્યાંજ ફરી વાયુ રી-ટર્ન થવાની વાતે ફરી સૌના જીવ અદ્ધર કરી મુક્યા.

    ૧૨ મી જૂન થી શરૂ થયેલા વાયુ ના સમાચારોના વાવાઝોડાએ લોકોને અત્યાર સુધી ઉચાટમાં રાખ્યા છે. આજે ૧૮ જુનના સાતમો દિવસ થયો વાયુ વાવાઝોડાએ સર્જેલી ચિંતા હજીયે યથાવત છે, હા એટલી રાહત છે, સિસ્ટમ નબળી પડી જતાં હવે  વાયુના કારણે કચ્છમાં વરસાદ થશે. પણ, તેમ છતાંયે વાયુ સાંજે આવે છે, રાત્રે આવે છે, એવી આગાહી થતી રહે છે, પણ, નથી વાયુ વાવાઝોડું આવતું કે નથી વરસાદ આવતો!!!

* હવે, શું થશે? જાણો 'વાયુ'નું લેટેસ્ટ સ્ટેટ્સ...

છેલ્લા બે દિવસ થતા 'વાયુ' અંગે સોશ્યલ મીડીયામાં પણ સતત મજાક થતી રહે છે તો લોકોમાં પણ એ ચર્ચા છે કે, 'વાયુ' માંથી હવે ક્યારે છુટકારો થશે? જોકે, વાયુ વાવાઝોડાને સરકારે અને કચ્છના વહીવટીતંત્રએ ગંભીરતા સાથે લઈને સુંદર નમૂનારૂપ કામગીરી કરી છે. આપણે પણ વાયુની આફતને ગંભીરતા સાથે લઈને રાહતનો શ્વાસ લેવાની જરૂરત છે કે, આપણા કચ્છ ઉપરની આફત ટળી ગઈ!! પરંતુ, આજનું છેલ્લું "વાયુ" વાવાઝોડાનું અપડેટ જાણીએ તો ભારત સરકારના હવામાન વિભાગની છેલ્લી આગાહીને ટાંકીને કચ્છના હવામાન અધિકારી રાકેશકુમારના જણાવ્યા પ્રમાણે હવે ૨૪ કલાકની અંદર મોડામાં મોડું આજે મધરાત સુધી વાયુ વાવાઝોડું કચ્છના દરિયા ઉપરથી પસાર થઈ જશે. 

    વાયુ લો પ્રેસરમાં ફેરવાયું હોઈ નુકસાન નહીં થાય કચ્છ અને સૌરાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક   છૂટો છવાયો હળવો કે ભારે વરસાદ પડશે. કચ્છના દરિયામાંથી પસાર થઈને વાયુ વાવાઝોડાનું પ્રેસર કચ્છના રણ દ્વારા બનાસકાંઠા ઉતરગુજરાત થઈને રાજસ્થાનના ઉતરભાગમાં ડુંગરપુર તેમ જ કોટા પહોંચશે. જ્યાં વાયુ વાવાઝોડું ખતમ થઈ જવાની શક્યતા છે. 

     વાયુ ના કારણે બનાસકાંઠા તેમ જ રાજસ્થાનમાં વરસાદ થવાની શકયતા છે. આમ, વાયુ વાવાઝોડાનું સંકટ કચ્છ ઉપરથી ૨૪ કલાકની અંદર હળવું થઈ જવાની શક્યતા કચ્છના હવામાન અધિકારી રાકેશકુમારે વ્યક્ત કરી છે. જોકે, તેમ છતાંયે કચ્છનું વહીવટીતંત્ર સતર્ક છે અને પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે.

(12:26 pm IST)