Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

બોટાદના રાણપુરમાં માલધારીઓ અને મિલ માલિક વચ્ચે બઘડાટી : તલવારથી કર્યો હુમલો : એકનું મોત : ત્રણને ઇજા

માલધારી સમાજે જ્યા સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો

બોટાદના રાણપુરમાં માલધારી સમાજ અને અલમદાર કોટન મિલના માલિક વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ધીંગાણું થયું હતું જેમાં  માલધારી સમાજના ગગજીભાઈ મીર નામના વ્યક્તિનું મોત થઈ ગયુ હતુ.

   આ અંગે મળતી વિગત મુજબ માલધારી સમાજના અસ્થિર મગજના યુવકે મિલ માલિકના ઘર પાસે શૌચ કરી દીધુ હતુ, આથી ગુસ્સે ભરાયેલા મીલ માલિકે તે યુવકને માર માર્યો અને ઠપકો આપ્યો હતો. આ વાતની યુવકના પરિવારને જાણ થતા માલધારી સમાજના લોકો મિલ માલિકને ઠપકો આપવા દોડી ગયા હતા.શરૂઆતમાં ઠપકા બાદ સામ સામે બોલાચાલી થઈ, જેણે થોડી જ ક્ષણોમાં ઉગ્ર સ્વરૂપ લઈ લેતા મિલ માલિકે માલધારી સમાજના ગગજીભાઈ માર નામના વ્યક્તિ પર તલવાર વડે હુમલો કરી દીધો. આ હુમલામાં ત્રણ લોકોને ઈજા થઈ હતી અને તેમને હોસ્પીટલે ખસેડવામાં આવ્યા. જેમાથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયુ છે. 

  આ સમગ્ર મામલે માલધારી સમાજે જ્યા સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે તો આ તરફ પોલીસે ત્રણ લોકો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(12:45 am IST)