Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

તાઉ તે વાવાઝોડા સંદર્ભે મંત્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજાએ સમીક્ષા બેઠક કરી :પ્રભારી સચિવશ્રી લોચન સેહરા અને આઇજીપી સુશ્રી અર્ચના શિવહરેએ દ્વારકાની મુલાકાત લીધી

દેવભૂમિ દ્વારકા :તાઉ તે વાવાઝોડાની સંભવિત અસરોને પહોંચી વળવા રાજ્ય સરકારના માર્ગદર્શનમાં દેવભૂમિ દ્વારકા વહીવટીતંત્રએ સુચારૂ આયોજન કર્યું છે. મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીના સુચન પ્રમાણે ‘ઝીરો કેઝયુઆલીટી’ ના ઉદેશ્‍ય સાથે કલેકટર ડો. નરેન્‍દ્રકુમાર મીનાના માર્ગદર્શનમાં જિલ્‍લા વહીવટીતંત્ર સજ્જ છે. જિલ્લામાં વિવિધ સ્થળોએ એનડીઆરએફની ટીમો તૈનાત કરી પોલીસ વિભાગના સહયોગથી દરિયાકાંઠાના લોકોને સ્થળાંતર કરાવ્યું હતું. જિલ્લામાં વીજપુરવઠો ખોરવાય નહીં એ માટે પીજીવીસીએલ દ્વારા પણ પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.
 ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ દ્વારકા ખાતે સરકીટ હાઉસમાં પ્રભારી સચિવ લોચન સેહરા, આઇજીપી સુશ્રી મમતા શિવહરે તથા અધિકારીઓ સાથે તાઉ તે વાવાઝોડાની વર્તમાન પરિસ્‍થિતિને ધ્‍યાને રાખી સમીક્ષા બેઠક  યોજી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે દેવભૂમિ દ્વારકા જિલ્લો વાવાઝોડાના ખતરાથી સંપુર્ણ બહાર છે. છતાં વહીવટી તંત્ર સંપૂર્ણ સચેત છે. જે લોકો શેલ્‍ટર હોમમાં છે એમને ભોજન સહિતની વ્યવસ્થાઓ તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવશે અને વાવાઝોડાનો ખતરો ટળી જાય પછી તેમને સલામત રીતે તેમના ઘરે પહોંચાડવામાં આવશે. આ મીટિંગમાં જિલ્લા પોલીસ અધિક્ષક સુનીલ જોશી, પ્રાંત અધિકારી નિહાર ભેટારીયા તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(8:42 pm IST)