Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

વઢવાણના વડનગરમાં હત્યાઃ ૬૦ વર્ષના સવિતાડોસીને દિકરા-વહૂએ પતાવી દીધા

પૈસા માટે ઝઘડો કરી બે દિકરા મનસુખ, ભરત અને પુત્રવધૂ સંગીતા માથામાં હથીયારના ઘા કરી ભાગી ગયાઃ વૃધ્ધાએ રાજકોટમાં દમ તોડ્યો : મનસુખ અને ભરત નાના ભાઇ રણજીતના દિકરાને પણ સાથે લઇ ગયા : નાનો દિકરો રણજીત સાંજે કામેથી ઘરે આવ્યો ત્યારે મા લોહીલુહાણ પલંગ નીચે પડેલા દેખાયાઃ દિકરા-વહૂ મારકુટ કરી ભાગી ગયાનું રણજીતને પડોશીઓએ કહ્યું : દિકરા-વહૂ પૈસા સહિતના મામલે અવાર-નવાર માથાકુટ કરતાં હતાં

રાજકોટ તા. ૧૮: સુરેન્દ્રનગરના વઢવાણ તાબેના વડનગરમાં રહેતાં ૬૦ વર્ષના સવિતાબેન શંકરભાઇ ઉધરેજીયા (દેવીપૂજક)ને તેના જ બે દિકરા મનસુખ, ભરત અને મનસુખની ઘરવાળી સંગીતાએ મળી માથામાં કોઇ તિક્ષ્ણ હથીયારના ઘા કરી પતાવી દેતાં ચકચાર જાગી છે.

પ્રાપ્ત માહિતી મુજબ વડનગર રહેતાં સવિતાબેનને ગઇકાલે સાંજે લોહીલુહાણ હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પોલીસ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતામાં સવિતાબેનને લાવનાર તેના નાના દિકરા રણજીતે માતા પર પોતાના જ સગા બે ભાઇઓ મનસુખ, ભરત અને ભાભી સંગીતા મનસુખે હુમલો કયોનું કહેતાં સુરેન્દ્રનગર પોલીસ મથકમાં એન્ટ્રી નોંધાવાઇ હતી.

રાજકોટ સારવાર દરમિયાન વહેલી સવારે સવિતાબેને દમ તોડી દેતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો. તેમના માથામાં કોઇ તિક્ષ્ણ હથીયારના ઘા કરાયા હતાં. દિકરા રણજીતે કહ્યું હતું કે હું કડીયા કામ કરુ છું. મારે સંતાનમાં એક ૮ વર્ષનો પુત્ર રણવીર છે. મારી ઘરવાળી આગ્રા તેના માવતરે ગઇ છે અને ત્યાં કાજુબદામ વેંચે છે. હું, મારા ભાઇઓ, મા, ભાભી બધા એક જ ફળીયે અલગ અલગ રહીએ છીએ. મારા બા સાથે ભાઇઓ અને ભાભી અવાર-નવાર પૈસા માટે અને બીજી બાબતે ઝઘડા કરતાં હતાં. ગઇકાલે હું સાંજે કામેથી ઘરે આવ્યો ત્યારે બા લોહીલુહાણ હાલતમાં પલંગ નીચે પડેલા દેખાયા હતાં. અડોશી પડોશીઓએ કહ્યું હતું કે તેને મનસુખ, ભરત અને સંગીતા માર મારીને ભાગી ગયા છે. મેં માતાને સુરેન્દ્રનગર હોસ્પિટલે અને ત્યાંથી રાજકોટ ખસેડ્યા હતાં.

રણજીતે આક્ષેપ કર્યો છે કે મારા ૮ વર્ષના દિકરાને પણ મારા ભાઇઓ અને ભાભી પોતાની સાથે લઇ ગયા છે. હોસ્પિટલ ચોકીના રણછોડભાઇ સાંબડે સુરેન્દ્રનગર પોલીસને જાણ કરતાં ત્યાંથી રાજકોટ ફરિયાદ નોંધવા આવવા તજવીજ કરી હતી.

(12:36 pm IST)