News of Friday, 18th May 2018
ઉના, તા. ૧૮ :. ઉના પોલીસે કેસરીયા ગામ પાસે હોટલ પાછળ વાડી વિસ્તારમાં બંધ બોડીના ટ્રકના કન્ટેનરમાં ભરાતો ૪૭૮ ગુણી ઘઉંનો જથ્થો પકડી પાડી મામલતદારને રીપોર્ટ કરતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
આ ઘઉંનો જથ્થો સરકારી રેશનીંગનો હોવાની શકયતા ગવર્મેન્ટ ઓફ પંજાબ, ગવર્મેન્ટ ઓફ હરીયાણાના માર્કાવાળા ખાલી બારદાન કબ્જે કરી મામલતદાર કચેરીમાં માહિતી આપવા અધિકારી એકબીજાને ખો આપી માહીતી આપવાનું ટાળ્યુ હતું.
ઉના પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે કોઈ વાડી વિસ્તારમાં ઘઉંનો મોટો જથ્થો વાહનમાં ભરાતો હોવાની માહિતી મળતા ઉનાના પીએસઆઈ આર.એન. રાજ્યગુરૂ, પોલીસ કર્મચારી પ્રદીપસિંહ હરીસિંહ, પ્રફુલભાઈ જેસીંગભાઈ તથા સ્ટાફ એ કેસરીયા ગામ પાસે ભાગ્યલક્ષ્મી હોટલની પાછળ વાડી વિસ્તારમાં એક બંધ બોડીના ટ્રકના કન્ટેનર નં. જીજે ૦૪ ૬૯૬૯ મા ઘઉંનો જથ્થો ભરાતો હોય બીલ અને પુરાવા માંગતા ન આપતા કન્ટેનરમાં ભરેલ ઘઉંના ૫૦ કિલોની ૪૮૭ બોરી રૂ. ૨૪૩૫૦ તથા અન્ય ૭૩ બાચકા ઘઉં ઓરડીમાં રાખેલ હતા, ત્યાં ૧૬ બાચકા ખાલી મળેલ હતા. જેની ઉપર ભારતીય ખાદ્ય નિગમ ગવર્મેન્ટ ઓફ પંજાબ, ગવર્મેન્ટ ઓફ હરીયાણાના માર્કાવાળા મળી આવેલ અને હોટલના સંચાલક વીરાભાઈ ભીખાભાઈ મકવાણા રે. કેસરીયાવાળાને પુછતા આ ઘઉંનો જથ્થો લલીતભાઈ કરશનભાઈ ગંગદેવ રે. ઉનાવાળાનો હોવાનું જણાવેલ અને પીપાવાવ પોર્ટ મોકલવાનો હોવાનું જણાવેલ અને કન્ટેનર ટ્રક ચાલકનું નામ પુછતા જલાલુદીન અરગરઅલી મુળ રે. અમકે હા. કાતર, જી. કુશીનગર યુપીનો હાલ પીયાવાવ રહેતો હોવાનું જણાવતા પોલીસે ઘઉંનો શંકાસ્પદ જથ્થો ટ્રક ચાલકને ઉના લાવી નોંધ કરી ઉના મામલતદાર કચેરીને રીપોર્ટ કર્યો હતો.
પત્રકારોએ મામલતદાર કચેરીએ માહિતી મેળવવા જતા મામલતદાર ઘઉંના પ્રકરણ બાબતે વેરાવળ ગયા છે તથા પુરવઠા મામલતદાર ટ્રેનીંગમાં ગયા હોય ઈન્ચાર્જ પુરવઠા નાયબ મામલતદાર અને મામલતદાર કચેરીના મામલતદારને પુછતા એકબીજાને ખો આપી માહિતી આપવાનું ટાળ્યુ હતું. અંતે મામલતદાર શ્રી ડીયાને ટેલીફોનીક સંપર્ક કરતા આ બાબતની તપાસ ચાલુ છે તેવી માહિતી આપી હતી.
ઉના તાલુકામાં રેશનીંગનો ગરીબોને આપવાનો ઘઉંનો જથ્થો છેલ્લા ઘણા સમયથી બારોબાર પગ કરી જતો હોવાની લોકોમાં ફરીયાદ ઉઠી હતી અને ઉનાના આ વેપારીનો ઘઉંનો જથ્થો તેમની પાસે કયાંથી આવ્યો અને કેસરીયા ગામની હોટલ પાછળ ઓરડીમાં કેમ રાખ્યો હતો ? તેની તપાસ થાય તો મોટુ કૌભાંડ બહાર આવે તેમ છે. આ શંકાસ્પદ ઘઉંના જથ્થાની ઉંડી તપાસ થશે ખરી ? કે આ અગાઉ પકડાયેલ ઘઉં અને ચોખાના થોડા સમય પહેલા જથ્થાના પ્રકરણમાં શું તપાસ થઈ ? તે કોઈ હકીકત બહાર આવેલ ન હતી. આ પ્રકરણમાં કલેકટર દ્વારા તટસ્ટ તપાસ કરાવી સત્ય હકીકત બહાર લાવે તેમ લોકો ઈચ્છી રહ્યા છે.