Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

સરધારના હોડથલી ગામમાં પુત્રના સગપણની ચિંતામાં જ્યોત્સનાબેન રાદડીયાનો આપઘાત

પટેલ મહિલાએ ગળાફાંસો ખાઇ લીધોઃ પતિ જમવા આવ્યા ત્યારે પત્નિ લટકતાં મળ્યા

રાજકોટ તા. ૧૭: સરધાર તાબેના હોડથલી ગામમાં રહેતાં જ્યોત્સનાબેન જયંતિભાઇ રાદડીયા (ઉ.વ.૪૮) નામના લેઉવા પટેલ મહિલાએ છતના હુકમાં શાલ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે. પુત્રના સગપણની ચિંતામાં તેમણે આવું પગલું ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

જાણવા મળ્યા મુજબ હોડથલીમાં રામજી મંદિર પાસે રાદડિયા નિવાસમાં રહેતાં જ્યોત્સનાબેન રાદડીયાએ ફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ ૧૦૮ના ઇએમટી કાળુભાઇ મારફત થતાં કન્ટ્રોલ ઇન્ચાર્જ રાજુભાઇ મકવાણાએ જાણ કરતાં આજીડેમના એએસઆઇ વી. બી. સુખાનંદી અને કિરીટભાઇ રામાવતે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ જ્યોત્સનાબેનને સંતાનમાં બે પુત્ર છે.  તેમાં મોટા પુત્રના સગપણની વાત ચાલતી હતી. પરંતુ સગપણ નક્કી થતું ન હોઇ તેના કારણે સતત ચિંતામાં રહેતાં હોવાથી આ પગલુ ભરી લીધાની શકયતા છે. પતિ જયંતિભાઇ ઘરે આવ્યા ત્યારે દરવાજો અંદરથી બંધ હોઇ ડેલો ઠેકી અંદર જતાં અને જાળીમાંથી જોતાં પત્નિ લટકતાં દેખાતાં તેઓ હતપ્રભ થઇ ગયા હતાં. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો છે. 

(12:16 pm IST)