Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

માળિયા પાસે મચ્છુ નદીમાંથી મળેલ પંજાબી યુવાનની લાશ મુદ્દે ખુલાસો : વધુ પડતા નશાને કારણે થયેલું મોત

મોત થતા ચાર શખ્શોએ લાશને કારમાં લઇ જઈને માળિયા મચ્છુ નદીના પાણીમાં ફેંકી દીધી હતી

માળિયા નજીક મચ્છુ નદીમાંથી એક પંજાબી યુવાનનો મૃતદેહ મળ્યા બાદ ફોરેન્સિક પીએમમાં યુવાનનું મોત વધુ પડતા નશાના ડોઝને કારણે થયું હોય જેથી ખુલાસા બાદ માળિયા પોલીસે તપાસ ચલાવી હતી અને મૃતકના માતાની ફરિયાદને આધારે ચાર શખ્શો સામે ગેરઈરાદતન હત્યાનો ગુન્હો નોંધી તપાસ આદરી છે

પંજાબના રહેવાસી પ્રકાશકૌર અવતારસિંગ નાઈશીખ (ઉ.વ.૫૧) માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના દીકરા દેવીન્દ્રસિંગ અવતારસિંગ નાઈશીખ (ઉ.વ.૩૧) વાળાને આરોપી લખબીરસિંગ જશવંત સિંગ જાટ રહે પંજાબ વાળાએ પોતાની લખા હોટલના પાછળના ભાગે વધુ પડતો નશીલા પદાર્થનો ડોઝ આપ્યો હતો

જે યુવાનથી સહન નહિ થતા દેવીન્દ્રસિંગનું મોત થયું હતું જેને પગલે આરોપી લખબીરસિંગ જાટ તેમજ પરબજીત ઉર્ફે પ્રભાસિંગ તારસિંગ જાટ રહે પંજાબ, બુટાસીંગ અને એક અજાણ્યો માણસ એ ચાર આરોપીઓએ યુવાનના મૃતદેહને બ્લેકેટમાં બાંધી અલ્ટો કારમાં લઇ જઈને માળિયા મચ્છુ નદીના પાણીમાં ફેંકી દઈને પુરાવાનો નાશ કરી ગુન્હો કર્યાની ફરિયાદ નોંધાવી છે

માળિયા પોલીસે ચારેય આરોપી વિરુદ્ધ કલમ ૩૦૪, ૨૦૧ અને ૧૧૪ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે

(11:43 pm IST)