Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

ગૌરીદડના વેપારીને આપઘાતની ફરજ પાડવા અંગે ફાયનાન્‍સરોનો નિર્દોષ છૂટકારો

રાજકોટ, તા. ૧૭ :. રાજકોટ શહેર નજીક આવેલ ગૌરીદડ ગામે અનાજ કરીયાણાનો વેપાર-ધંધો કરનાર ગુજરનાર પરેશ ઉર્ફે મનીષ લલીતભાઈ સોરઠીયાએ આરોપી પ્રદિપસિંહ, રણજીતસિંહ, વિક્રમસિંહ, મહાવીરસિંહ, નરેન્‍દ્રસિંહ, મયુર આહીર પાસેથી વ્‍યાજે લીધેલ રકમની આરોપીઓએ પઠાણી ઉઘરાણી કરી પરવાનાવાળુ હથીયાર ટેબલ પર મુકી ગુજરનાર ઉપર ત્રાસ ગુજારતા ગુજરનાર પરેશ ઉર્ફે મનીષ કંટાળી જઈ પોતાની જાતે રાજગઢ ગામની સીમમાં જઈ કોઈ ઝેરી દવા પી લેતા ગુજરનારની લાશ મળતા ગુજરનારની પત્‍નિએ ગુજરનારે આરોપીઓ પાસેથી વ્‍યાજે રકમ લીધેલ હોવાના કારણે આવુ પગલુ ભરેલ હોવાનું જણાવતા ગુજરનારના પિતાશ્રીએ કરેલ ફરીયાદના આધારે કેસ ચાલી જતા આરોપીઓ પૈકી આરોપી રણજીતસિંહ ગુજરી ગયેલ હોય તે સિવાયના તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ રાજકોટના સેશન્‍સ જજ દ્વારા ફરમાવવા આવેલ છે.

બન્‍ને પક્ષેની રજૂઆતો રેકર્ડ પરની હકીકતો લક્ષે લેતા તેમજ ફરીયાદ પક્ષે રજૂ થયેલ સમગ્ર પુરાવો વંચાણે લેતા તેમજ તમામ સાહેદોના પુરાવાને એકત્રીત કરી એક સાથે વંચાણે લેવામા આવે તો આરોપીઓએ ગુજરનારને ઉંચા વ્‍યાજ દરથી રૂપિયા આપેલ હોય અને તે માટે મરણજનાર પાસે અવારનવાર પૈસાની પઠાણી ઉઘરાણી કરી ત્રાસ ગુજારી તેના કારણે મરવા મજબુર કરેલ હોય અને તેના કારણે ઝેરી દવા પી આત્‍મહત્‍યા કરેલ હોય અને એકબીજાને આરોપીઓએ મદદગારી કરેલ હોય અને તે અનુસંધાને ભારતીય ફોજદારી ધારા તેમજ મનીલેન્‍ડ એકટ અન્‍વયેનો કેસ પુરવાર થયેલ નથી. તહોમતનામા મુજબનો પુરાવો આવેલ ન હોય તેથી કસુરવાર ઠેરવી શકાય નહી કેસની હકીકતો રેકર્ડ ઉપરના પુરાવાનું ઉંડાણપૂર્વકનું વિશ્‍લેષણ જોતા અત્રેની કોર્ટ એવા તારણ પર આવેલ છે કે ફરીયાદ પક્ષ આરોપીઓ વિરૂદ્ધનો કેસ નિઃશુલ્‍કપણે પુરવાર કરવામાં સફળ રહેલ નથી તેથી ચારેય આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ ફરમાવવામાં આવેલ.

ઉપરોકત કામમાં આરોપીઓ પૈકી મયુર ડાંગર વતી રાજકોટના જાણીતા એડવોકેટ એ.આર. દેસાઈ તથા આરોપી પ્રદિપસિંહ ચૌહાણ વતી એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા તથા આરોપી નરેન્‍દ્રસિંહ ઝાલા તથા વિક્રમસિંહ જાડેજા વતી એડવોકેટ પીયુષ શાહ, હર્ષિલ શાહ, નિવીદ પારેખ, નિતેષ કથીરીયા રોકાયેલ હતા.

(12:29 pm IST)