Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

જામનગરની ટ્રાન્સપોર્ટ પેઢીની 32 લાખની સોપારીનો જથ્થો બારોબાર સગેવગે કર્યો

ટ્રક ચાલક અને કલીનર સહિતના શખ્શો સામે છેતરપીંડીની ફરિયાદ

જામનગરની એક ટ્રાન્સપોર્ટ પેઢી સાથે ટ્રક ચાલક અને કલીનર સહિતના શખ્સોએ 32 લાખની છેતરપીંડી આચરી હોવાની ટ્રાન્સપોટરે સીટી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કેરાલાથી 260 ગુણી સોપારી ભરીને જામનગર આવેલ આરોપીઓએ આ સોપારી બારોબાર સગેવગે કરી વિશ્ર્વાસઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આ ફરિયાદ બાદ એલસીબી પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.

  જામનગરના આ  છેતરપીંડી પ્રકરણની વિગત મુજબ, શહેરના નાગનાથ ગેઇટ વિસ્તારમાં આવેલ શ્રી લક્ષ્‍મી રોડવેઇઝ નામની ટ્રાન્સપોર્ટ પેઢીએ ગત તા.8-8ના રોજ કેરળથી જી.જે.12 એ.ટી. 6232 નંબરની ટ્રકમાં રૂા.32 લાખની કિંમતનો સોપારીનો જથ્થો મંગાવ્યો હતો. 260 ગુણી જથ્થો ભરીને ટ્રક ચાલક મહમદ હુશેન ઇસ્માઇલ (રહે કેરાળા, કચ્છ )અને ચાલક તેમજ ધર્મેન્દ્રસિંહ નરપતસિંહ જાડેજા તથા સિંકદર ( રે.કચ્છ )વાળા શખ્સોએ સોપારીનો આ જથ્થો જામનગર પહોંચતો કરવાના બદલે બારોબાર સગેવગે કરી નાખ્યો હતો.

 આ ઘટના અંગે દિવસો સુધી તપાસ કરાવ્યા બાદ ગઇકાલે રાજકોટમાં માર્કેટીંગ યાર્ડ પાછળ રહેતા ટ્રાન્સપોર્ટર અલ્પેશભાઇ મોહનભાઇ જાડેજાએ ઉપરકોત શખ્સો સામે સીટી એ ડીવીઝન પોલીસ દફતરમાં આઇપીસી કલમ 407, 120 બી મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે એલસીબી પીએસઆઇ કે.કે.ગોહિલ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

(12:27 pm IST)