News of Wednesday, 17th June 2020
અમદાવાદ, તા. ૧૬ : દેશમાં કોરોનાના કેસ મામલે ચોથા સ્થાન પર રહેલ ગુજરાતમાં કેસ ઘટવાના નામ નથી લઈ રહ્યાં. કેટલાક જિલ્લા એવા છે, જ્યાં રોજેરોજ ૫ થી વધુ કેસ સામે આવી રહ્યાં છે. દ્વારકા જિલ્લામાં આજે કોરોના પોઝિટીવ આંકડો ૧૭ પર પહોચ્યો છે. અમદાવાદથી ભાણવડ આવેલ ૩૧ વર્ષીય મહિલા તબીબ કોરોનાની ઝપેટમાં આવી છે. આ મહિલા તબીબ અમદાવાદમાં ફરજ બજાવી દ્વારકા પરત આવ્યા હતા. આયુષ વિભાગમાં કોરોના વોરિયર તરીકે સેવા આપતી યુવતીન કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલા તબીબ અમદાવાદ ખાતે ૧૬ દિવસનાં ડેપ્યુટેશન માટે અમદાવાદ ગઈ હતી. તેઓને ઓપીડી વિભાગમાં ફરજ સોંપાઈ હતી, જ્યાં તેઓને કોરોનાનો ચેપ લાગ્યો હતો.
અમરેલી જિલ્લામાં આજે વધુ ૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. સાવરકુંડલામા ૨ કોરોના પોઝિટિવ કેસ, ધારીમા ૧ અને અમરેલીના વિઠલપુર ખંભાળિયામાં ૧ કેસ નોંધાયો છે. અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૩૧ થઈ છે. હાલ અમરેલી જિલ્લામાં ૧૬ એક્ટીવ કેસ છે, અને ૧૧ દર્દીઓ રિકવર થયા છે.
પાટણ જિલ્લામાં આજે વધુ ૩ કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. હારીજ ખાતે ૨૬ વર્ષીય યુવાનને કોરોના પોઝિટિવ, પાટણમાં કલ્પવૃક્ષ સોસાયટીમાં ૩૨ વર્ષીય યુવકને અને સરથી રેસિડેન્સીમાં ૭૦ વર્ષીય વૃદ્ધાને કોરોના પોઝિટિવ આવ્યો છે. ત્રણ દર્દીને ધારપુર હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં સારવાર અર્થે ખસેડ્યા છે. જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવની સંખ્યા પહોંચીને ૧૧૯ થઈ ગઈ છે. ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના વધુ ૫ કેસ નોંધાયા છે. ભરૂચ શહેરમાં ૩ અને જંબુસરમાં વધુ ૨ કેસ નોંધાયા છે. ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલ બુસા સોસાયટી, ઝાડેશ્વરના સમૃદ્ધિ બંગ્લોેઝ અને સ્વપ્ન સૃષ્ટિ સોસાયટીમાં એક-એક પોઝિટિવ કેસ થયા છે. જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા ૯૮ પર પહોંચી છે.
રાજકોટ શહેરમાં વધુ ૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ૨ પુરુષ અને ૧ સ્ત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ૩ પૈકી ૨ દર્દી અમદાવાદથી પરત રાજકોટ આવ્યા હતા, જ્યારે ૧ દર્દી પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવવાથી સંક્રમિત થયા છે. આમ શહેરમાં કોરોના પોઝિટિવ આંક ૧૧૮ પહોંચ્યો છે.
ભાવનગર શહેર જિલ્લામાં વધુ ૨ કોરોના પોઝિટિવ નોંધાયા છે. શહેરના વિદ્યાનગરની મહિલા અને તળાજાના જાલવદરના પુરુષનો રિપોર્ટ, વિદ્યાનગરની ૩૦ વર્ષીય દિનલબેન પ્રતીકભાઈ દોશી, અને વજાલવદરના ૩૨ વર્ષીય ગુણવંત ભવાન બલદાણીયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
જામનગરમાં આજે વધુ ૨ કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. પડાણામા રહેતા ૫૫ વર્ષીય પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો છે. તો થાવરીયા ગામે ૨૨ વર્ષીય યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો છે. આમ, જામનગરમાં કોરોનાના કુલ ૮૭ પોઝિટિવ કેસ અને ૩ મોત થયા છે.