Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

રવિવારે જાગૃતિધામ ખાતે પૂ. પાલુ ભગત રચિત બે ગ્રંથોનું પૂ.મોરારીબાપુની હાજરીમાં લોકાર્પણ

હરિરસ પ્રબોધ અને પ્રતાપ પચ્ચીસીનું કુંવારીકાઓના હસ્તે વિમોચન : ચારણ ભજનીકો ભજનાનંદી પીરસશે : ધર્મપ્રેમીઓ માણશે ભોજન પ્રસાદનો લાભ

રાજકોટ, તા. ૧૭ : રાજકોટ - સરધાર રોડ ઉપરના કાળીપાટ ગામના જૂના પાદરમાં આવેલ ધર્મસંસ્થાન જાગૃતિ ધામના ધર્મ ઉપાસક પૂ.ચારણ સંત પાલુ ભગત રચિત બે દિવ્ય ગ્રંથો હરિરસ પ્રબોધ અને પ્રતાપ પચ્ચીસીનું દિપ પ્રાગટ્ય આગામી તા.૨૦ના રવિવારે સવારે ૯ વાગ્યે તેમજ બંને ગ્રંથોનું વિમોચન સવારે ૧૧ કલાકે પૂ. મોરારીબાપુ અને કુંવારીકા દિકરીઓના કરકમળો દ્વારા વિમોચન કાર્યક્રમનું જાગૃતિધામ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.

આ ગ્રંથ લોકાર્પણ પ્રસંગોત્સવમાં જૂનાગઢ ભારતી આશ્રમના પૂ.ભારતીબાપુ, જૂનાગઢ ભવનાથ તળેટીના પૂ. શેરનાથબાપુ, ભૂતડી - રામનાથના પૂ.ભકિતરામબાપુ, બાવળા - નાનોદશના પૂ.ભગવાનદાસબાપુ ચારણ માતાજીઓ તથા પૂ.પાલુબાપુના ધર્મપ્રેમીઓ વિશાળ સંખ્યામાં હાજરી આપશે.

કાર્યક્રમના સહયોગી પ્રજાપતિ યોગેશ ઉનાગર આ પ્રસંગોત્સવની વિશેષ વિગતો આપતા જણાવે છે કે વિમોચીત થનાર બંને ગ્રંથોમાં ધર્મતત્વજ્ઞાનની સરળ અને સુપાચ્ય ભાષામાં સમજ આપવામાં આવી છે. આ બંને અમૂલ્ય ગ્રંથોનું સર્જન પૂ. પાલુ ભગતની વર્ષોની ઉપાસના અને ચિંતનનો પરિપાક છે. જીજ્ઞાશુ વાંચકોને આ બંને ગ્રંથો જીવનની નવી દૃષ્ટિ અને દિશા પ્રદાન કરશે.

જાગૃતિધામ ખાતે રવિવારે યોજાનાર આ પ્રસંગોત્સવને પૂ. મોરારીબાપુની નિશ્રામાં પધારેલા સંતો, ચારણ માતાજીઓ દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકશે. ગ્રંથોની લોકાર્પણવિધિ, સંતો - મહંતોના પ્રેરક પ્રતિભાવો સાથે ધર્મપ્રેમીઓના સાનિધ્યમાં સંપન્ન થશે. આ પ્રસંગે ભાવિકોને બપોરે અને રાત્રે ભોજન પ્રસાદ પીરસાશે. રાત્રે ૯ વાગ્યાથી જાણીતા ચારણ ભજનીકો ગોવિંદભા પાલીયા, બાવળીના અનુભા જામંગ સહિતના લોક સાહિત્યના કલાકારો, ભજનીકો દર્શક - શ્રોતાઓને મોજ કરાવશે.

સૌ કોઈ ધર્મપ્રેમીઓને લાભ લેવા પૂ. પાલુભગત, કાળીપાટ ગામના જાડેજા દરબારો, બીપીનદાન ગઢવી (મો.૯૪૨૫૫ ૩૦૦૭૭) વગેરે આયોજકોએ યાદીમાં જાહેર આમંત્રણ અપાયુ છે.

(11:39 am IST)