Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

કુંભમાંથી આવનાર તમામને આઈસોલેટ કરાશેઃ વિજયભાઈ રૂપાણી

વિજયભાઈ રૂપાણી, નીતિનભાઈ પટેલ અને કોર કમિટીના સભ્ય જામનગરમાં: કોરોના કેસ વધતા ઉચ્ચસ્તરીય બેઠકઃ બપોર બાદ કચ્છની મુલાકાતે : જામનગરમાં ગંભીર દર્દીઓને હોસ્પીટલમાં સારવાર અપાશે અન્યને ઘરે સારવાર અપાશેઃ કોવિડ નિયમોનું પાલન કરવા અપીલઃ હજુ ૩૭૦ બેડ વધારવામાં આવશેઃ જામનગરની કોવિડ હોસ્પીટલમાં દાખલ દર્દીઓમાંથી ૩૦ ટકા દર્દીઓ મોરબીના

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૭ :. કોરોના કેસ વધતા આજે જામનગરની મુલાકાતે વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિત કોર કમિટીના સભ્યો આવ્યા હતા અને કોરોનાને લઈને વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી અને તંત્રને સૂચનો આપ્યા હતા.

સમિક્ષા બેઠક બાદ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ કે કુંભમેળામાંથી ગુજરાતમાં આવનાર તમામ લોકોને આઈસોલેટ કરાશે. કુંભ યાત્રાએ ગયેલ વ્યકિતઓ સુપર સ્પ્રેડર ન થાય તે માટે આ નિર્ણય લેવાયો છે અને કુંભ મેળામાંથી પરત આવનારનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

આ તકે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ હતુ કે સરકાર કોરોનાને લઈને ખૂબ જ ચિંતિત છે અને તાત્કાલીક દર્દીઓને સારવાર મળે તે દિશામાં પગલા લેવામાં આવી રહ્યા છે. ગંભીર દર્દીઓને હોસ્પીટલમાં દાખલ કરાશે અને બાકીના દર્દીઓને ઘરે સારવાર મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ લોકોને અપીલ કરતા જણાવ્યુ હતુ કે બીનજરૂરી ઘરની બહાર ન નિકળો, માસ્ક પહેરો, નિયમોનું કડક પાલન કરો અને વેકસીનનુ મોટુ શસ્ત્ર આપણા હાથમાં છે તેથી વેકસીન પણ લેવા અપીલ કરી હતી.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ હતુ કે હજુ પણ જામનગરની હોસ્પીટલમાં ૩૭૦ બેડ વધારવામા આવશે. હાલમાં ૧૫૫૨ દર્દીઓ સારવારમાં છે. જામનગરની કોવીડ હોસ્પીટલમાં દાખલ દર્દીઓમાંથી ૩૦ ટકા દર્દીઓ મોરબીના છે તેમ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ હતું.

જામનગર શહેરજિલ્લામાંકોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી, જામનગર ખાતે આજે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી

જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જામનગર શહેર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કેસ,ટેસ્ટિંગ, ટ્રેસિંગ,કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલો,બેડની સંખ્યા,ઓકિસજનની સુવિધા, વેન્ટીલેટર, રેમડેસિવિર ઈન્જેકશન ,સારવારની સુવિધા, આરોગ્ય સ્ટાફ સહિતની વિગતો મેળવીને કોરોના નિયંત્રણ અને જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા વહીવટી તંત્રને માર્ગદર્શન કરીને સૂચનોઓ આપી હતી.

આ બેઠકમાં કૃષિ મંત્રી આર.સી.ફળદુ, રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, ભાજપના જિલ્લા પ્રમુખ રમેશ મૂંગરા, શહેર પ્રમુખ વિમલ કગથરા, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કે. કૈલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતિ રવિ,ખાસ ફરજ પરના અધિકારીશ્રી, જિલ્લા કલેકટરશ્રી, મહાનગરપાલિકા કમિશનરશ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી,રેન્જ આઇજીશ્રી , જિલ્લા પોલીસ વડા સહિત પદાધિકારી અને અધિકારીઓ ઉપસ્થિત રહીને કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરી હતી.

જામનગરની મુલાકાત બાદ બપોર બાદ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સહિત કોર કમિટીના સભ્યો કચ્છની મુલાકાતે ગયા છે.

(3:06 pm IST)