Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

સૌરાષ્ટ્ર - કચ્છમાં કોરોના સામે સ્વૈચ્છીક લોકડાઉન

મહામારીનું સંક્રમણ વધતા આરોગ્ય વિભાગમાં દોડધામ : લોકોની ભીડ ઘટાડવા સ્વયંભૂ બંધનો અમલ

પ્રથમ તસ્વીરમાં શાપર વેરાવળ, બીજી તસ્વીરમાં મોટી પાનેલી, ત્રીજી તસ્વીરમાં કોડીનાર અને ચોથી તસ્વીરમાં ભાયાવદરમાં સ્વૈચ્છીક લોકડાઉનનો અમલ કરાયો તે નજરે પડે છે.

રાજકોટ તા. ૧૭ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના સામે અનેક વિસ્તારોમાં સ્વૈચ્છીક લોકડાઉનનો અમલ કરાયો છે. મહામારીનું સંક્રમણ અટકાવવા માટે આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે. લોકોની ભીડ ઘટાડવા સ્વયંભુ બંધનો અમલ શરૂ કરાયો છે.

શાપર વેરાવળ

(કમલેશ વસાણી દ્વારા) શાપર - વેરાવળ : ગ્રામ પંચાયત અને વેપારી એસોસીએસન દ્વારા કોરોના સંક્ર્મણ રોકવા સર્વાનુમતે સ્વૈચ્છિત લોકડાઉન જાહેર કરાયું છે જેમાં સવારે ૬ થી બપોરે ૨ વાગ્યાં સુધી દુકાનો તથા એજન્સીઓ ફેરિયાઓ તેમજ અન્ય પ્રકારની દુકાનો વગેરે તા. ૧૭/૪/૨૧ને શનિવારથી આ નિયમ લાગુ કરવા આવેલ છે. જેથી સર્વે લોકોએ સ્વૈચ્છિત લોકડાઉનનું પાલન કરવુ અને માસ્ક ફરજીયાત અને સોશ્યલ ડીસ્ટન્સ રાખી પાલન કરવા શાપર વેરાવળ ગ્રામ પંચાયત દ્વારા અનુરોધ કરેલ છે.

ભાયાવદર

(રમેશ સાંગાણી દ્વારા) ભાયાવદર : ભાયાવદરમાં કોરોના મહામારી અટકાવવા માટે ત્રણ દિવસ શુક્ર, શનિ, રવિવાર સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. તેમાં આજરોજ ભાયાવદર સંપૂર્ણ બંધ કરેલ હતું અને લોકો પણ ઘરની અંદર હતા અને સંપૂર્ણ બંધ પાળેલ હતું. દરેક વિસ્તાર અને દરેક સોસાયટીમાં પણ દુકાનો તથા શાકમાર્કેટ પણ બંધમાં જોડાયેલ હતી.

મોટી પાનેલી

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી : ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં વધી રહેલા કોરોના સંક્રમણ અને ગામમાં કૂદકે ભૂસકે કેસ વધી રહ્યા હોય ગ્રામપંચાયત અને ગામ આગેવાનો સહીતનાઓએ વેપારી મંડળ સાથે રહી તાત્કાલિક ધોરણે ગ્રામજનોનો સહયોગ મેળવી ગામહિતમાં કોઈપણ કાર્ય કરવાની ગ્રામજનોની સંપૂર્ણ ખાત્રી બાદ ગ્રામપંચાયત સાથે આગેવાનો તેમજ વેપારી મંડળના હોદેદારોએ ગામહિતમાં ગામના લોકોને કોરોના મહામારી સામે રક્ષણ આપવા કોરોનાની ચેઇન બ્રેક કરવા ગામને ત્રણ દિવસ સંપૂર્ણ લોકડાઉન કરવું તેવો નિર્ણય લઇ આજથી એટલકે શુક્રવાર શનિવાર અને રવિવાર એમ ત્રણ દિવસ ગામ સંપૂર્ણ બંધ રાખવું તેવું નક્કી કર્યા બાદ આજરોજ પાનેલીની જાગૃત જનતા એ સ્વયંમ એકજુટતા બતાવી ગામ સંપૂર્ણ પણે બંધ રાખી કોરોનાને ભગાડવા એકતા સાબિત કરેલ છે.

તમામ નાની મોટી બજાર સાથે લારી ગલ્લા વાળા પણ બંધમાં જોડાઈને કોરોના સામેની લડાઈમાં અભૂતપૂર્વ પ્રતિસાદ આપેલ છે ગામ લોકોની આ એકજુટતા અને સુંદર પ્રતિસાદથી ગ્રામપંચાયત સાથે આગેવાનો તેમજ વેપારી મંડળના હોદેદારોએ આભાર વ્યકત કરી જણાવેલ કે આમજ ત્રણ દિવસ સહકાર મળશે એવો પાનેલીની જનતા પર અમોને પૂર્ણ વિશ્વાસ છે.

જસદણ

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ : જસદણમાં ભયજનક સપાટીએ કેસો વધી રહ્યા છે ત્યારે હજુ વધુ પંદર દિવસ અડધો દિવસ ધંધા - રોજગાર બંધ રહે એવી શકયતા સેવાઇ રહી છે. જસદણ શહેર તો ઠીક પણ નાના ગામડાઓમાં કોરોનાનું ભયાનક તાંડવ થતા અનેક પરિવારોના હાલ બેહાલ થઇ ગયા છે. કેટલાય પરિવારોએ પોતાનું સ્વજન ગુમાવતા તેમની આંખોમાં આંસુ સુકાયા નથી. સરકારી હોસ્પિટલમાં જગ્યા ન હોવાથી ગરીબ લોકોને ખાનગી હોસ્પિટલમાં જવા માટે નાણા માટે રીતસર કરગરવું પડે છે આવી હાલતને નજર રાખી જસદણ છેલ્લા પાંચ દિવસથી બપોર બાદ સ્વૈચ્છીક બંધ પાળે છે અને આ ઘટનાક્રમ સોમવાર સુધી ચાલશે. હાલમાં કોરોનાએ તાંડવ સર્જતા જસદણ હજુ આગામી ત્રીસ એપ્રિલ સુધી બપોરના બાર વાગ્યા પછી બંધ રહે એવી શકયતા સેવાઇ રહી છે. કારણ કે જસદણ તાલુકાના ભાડલા ગામે કોરોના મહામારીના કારણે એવો નિર્ણય લીધો કે દરરોજ ભાડલા અડધો દિવસ ત્રીસ એપ્રિલ સુધી બંધ ત્યારે આ ગામની સરખામણીમાં જસદણમાં કોરોનાએ ભારે ગતિ પકડી છે તેથી વધુ અડધો દિવસ બંધ રહે તેવી શકયતા છે. જો કે આ અંગે હજુ સુધી કોઇ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી પણ કોરોનાની ચેન તોડવા માટે મીટીંગ બાદ કોઇ નિર્ણય લેવામાં આવે તેવી શકયતા છે.

કોડીનાર

(અશોક પાઠક દ્વારા) કોડીનાર :  કોડીનારમાં સ્વૈચ્છિક લોકડાઉન શરૂ થયું છે.જે શુક્ર, શનિ અને રવિવાર સુધી એમ ૩ દિવસ ચુસ્ત રીતે રહેશે.કોડીનાર ચેમ્બર ઓફ કોમર્સ તેમજ નગરપાલિકા અને વહીવટી તંત્ર તેમજ શહેરના વેપારી અગ્રણીઓની બેઠકમાં લેવાયેલા સ્વૈચ્છિક લોકડાઉનનાં નિર્ણયને શહેર તેમજ તાલુકાની જનતાએ આવકારીને જબરો પ્રતિસાદ આપ્યો છે. શહેરની નાની-મોટી તમામ દુકાનો, પાનના ગલ્લા,ચાની લારી સહિતના સજ્જડ બંધ જોવા મળી રહ્યા છે.માત્ર મેડિકલ સ્ટોર ખુલ્લા છે.જેમાં પણ કોઈ ગ્રાહક આવતા જોવા મળતા નથી.સવારે અને સાંજે ૨ કલાક માત્ર દૂધની ડેરી જ ખુલશે.૩ દિવસ નાં ચુસ્ત લોકડાઉન બાદ જો કોરોનાનું સંક્રમણ નહિ ઘટે તો ફરી આંશિક લોક ડાઉન અમલમાં આવશે.જે બાબતને જનતાનો પૂર્ણ સહયોગ મળી રહ્યો છે તેવું ચેમ્બરના પ્રમુખ હરિભાઈ વિઠ્ઠલાણી એ જણાવ્યું હતું.

ગોંડલ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ : ગોંડલ સોની વેપારીઓ દ્વારા કોરોનાની વર્તમાન પરિસ્થિતિને જોતા ગોંડલ સોની તા.૧૬.૪.૨૦૨૧થી ૨૬.૪.૨૦૨૧ સુધી બપોરે ૩ વાગ્યા સુધી જ સોની બજાર ખુલી રહેશે ૩ પછી સોની બજાર બંધ રહેશે તેવુ સોની સમાજ પ્રમુખ મુકેશભાઈ પાટડિયા, મંત્રી નલિનભાઈ જડિયાની યાદીમાં જણાવાયું છે.

કાલાવડ

(કમલેશ આશારા દ્વારા) કાલાવડ : કાલાવડના તમામ વેપારીઓએ સ્વૈચ્છીક તા. ૧૬, ૧૭ અને ૧૮ ત્રણ દિવસ કોરોના રોગની મહામારી સંક્રમણની લાઇન તોડવા બપોરે ૨ વાગ્યા પછી વેપાર - ધંધા બંધ રાખવા નિર્ણય લીધો હતો. જેને સંપૂર્ણ સફળતા મળેલ છે.  કાલાવડ શહેર આજે પ્રથમ દિવસે બપોરે ૨ વાગ્યાથી તમામ વેપારીઓએ પોતાના વેપાર - ધંધા બંધ રાખી સ્વૈચ્છીક રીતે બંધ રાખેલ છે.

(11:35 am IST)